નાવિયાણી ગામ પાસે એરવાડાથી બેચરાજી જતા નોકરીના પ્રથમ દિવસે જ બે ભાઈની જિંદગીનો અંત : માથું ધડથી અલગ, શરીરના ટુકડા રસ્તે વિખેરાયા
વઢવાણ,
તા.11: સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નાવિયાણી ગામ પાસે એક ગંભીર અકસ્માતની
ઘટના સામે આવી છે, જેમાં બાઇકસવાર બે સગાભાઇ સહિત ત્રણ યુવકને ફંગોળીને અજાણ્યો વાહનચાલક
ફરાર થઇ ગયો છે. આ અકસ્માતમાં એરવાડા ગામના ત્રણેય યુવકનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં
છે.
પાટડી
નજીક નાવિયાણી પાટિયા પાસે ભયાવહ અકસ્માતમાં બાઇક સવાર ત્રણેય યુવકને અજાણ્યા વાહનચાલકે
જોરદાર ટક્કર મારી ભાગી છૂટયા હતા. બાઇકને ફંગોળી અજાણ્યો વાહનચાલક ફરાર થઇ ગયો છે.
અકસ્માત એટલો ગંભીર હતો કે ટક્કર બાદ ત્રણેય યુવક રોડ પર પટકાયા અને તેમના શરીરના છુંદા
નીકળી ગયા હતા. ઘટનાને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. ઘટનાની જાણ થતાં
પાટડી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ત્રણેય મૃતદેહને પાટડી સરકારી હોસ્પિટલ ખસેડી
અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. માલવિયા અનુસાર, પ્રાથમિક
તપાસમાં બાઇકને ટ્રેલરે ટક્કર મારી હશે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
નાવિયાણી
પાસે આ અકસ્માતની ઘટનાના પગલે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. આ અંગે દસાડા પીઆઇ
વી. જે. માલવિયાએ જણાવ્યું કે દસાડા પાસેના નાવિયાણી પાસે સર્જાયેલા અકસ્માતમાં એક
જ બાઇકમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા છે. હાલ તો ત્રણેયની લાશને
પોસ્ટમોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી વધુ તપાસ હાથ ધરવામાં આવી
છે. હાલ કયા વાહનની અડફેટે અકસ્માત સર્જાયો એ માટે આજુબાજુના સીસીટીવી ફૂટેજના આધારે
હાલ તો અકસ્માતે મોત અંગેનો ગુને દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી
માહિતી મુજબ પાટડી તાલુકાના એરવાડા ગામનો સંજય ભાથીભાઈ ઠાકોર નામનો યુવક બેચરાજી કંપનીમાં
કામ કરવા જતો હતો, જેણે પોતાના જ ગામના ટીનાભાઇ નરશીભાઈ દેવીપૂજક અને એના નાના ભાઈ
મયુર નરશીભાઈ દેવીપૂજકને દિવસના રૂપિયા 400 લેખે નોકરી પર લગાડયા હતા. બન્ને ભાઇનો
નોકરીનો આજે પ્રથમ દિવસ હતો.