કેરાળી, લુણાગરા, લુણાગરી સને ઉમરકોટ ગામના
ખેડૂતો દ્વારા જેતપુરના સાડી ઉદ્યોગના વગદાર કારખાનેદારો દ્વારા ફેલાવવામાં આવતાં પ્રદૂષણ
વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર!
જેતપુર,
તા.21 : જેતપુરમાં સાડી ઉદ્યોગના કેટલાક વગદાર કારખાનેદારો દ્વારા તેમનાં એકમનું કેમિકલયુક્ત
પ્રદૂષિત પાણી સીઇટીપી પ્લાન્ટમાં ઠાલવવાને બદલે સીધું ભાદર નદીમાં છોડી દે છે અને
પાણી ખેડૂતોના બોર, કૂવાનાં તળમાં પહોંચી ગયું હોય ખેતીની જમીન બંજર બની ગઈ છે અને
મૂંગા પશુઓ પણ ચામડીના ખરીના રોગના શિકાર બનતા કેરાળી, લુણાગરા, લુણાગરી અને ઉમરકોટ
ગામના ખેડૂતો કેરાળી પાસેના ભાદર નદીના પુલ પર એકઠા થઈ પ્રદૂષણ વિરુદ્ધ સૂત્રોચાર કર્યો હતો અને નદીમાં
આ પાણી બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ઔદ્યોગિક શહેર જેતપુરનો
સાડી ઉદ્યોગ પ્રદૂષણને કારણે ખૂબ બદનામ છે જેને કારણે આ ઉદ્યોગનાં સંગઠને તમામ કારખાનાઓનું
પાણી ગટર દ્વારા કલેક્શન સંપ સુધી પહોંચતું તે બંધ કરાવી અને ગટરોનું પુરાણ કરાવી દીધું
અને માન્ય કારખાનાઓનું પ્રદુષિત પાણી ટેન્કર દ્વારા શહેરના જુદાજુદા વિસ્તારોમાં આવેલા
કલેક્શન સંપમાં ઠલાવવાની કામગીરી છેલ્લાં ત્રણેક વર્ષથી કરવામાં આવી રહી છે, તેમ છતાં
ભાદર નદીમાં પ્રદૂષણ ઓછું થવાનું નામ જ નથી લેતું.
પાણી
પ્રદૂષણની આવી ખેતીમાં કટોકટી જેવી સ્થિતિને કારણે આજે તાલુકાનાં કેરાળી, લુણાગરા,
લુણાગરી અને ઉમરકોટ ગામના સોથી દોઢસો જેટલા ખેડૂતો કેરાળી ગામના ભાદર નદીના પુલ પાસે
એકઠા થયા હતા અને ત્યાં રામધૂન બોલાવી પ્રદૂષિત પાણીનો વિરોધ કર્યો હતો. આ અંગે કેરાળી
ગામના સરપંચ કલ્પેશભાઈ ભડેલિયાએ જણાવ્યું હતું કે, ભાદર નદીમાં પ્રદૂષણનો પ્રશ્ન વર્ષો
જૂનો છે અત્યારે ક્યાંય વરસાદ ન હોય છતાંય અમારાં ગામ પાસેથી ભાદર નદી બે કાંઠે વહે
છે પરંતુ પ્રદૂષિત પાણીથી વહે છે તે સમસ્યા છે.
આ સિલિકેટવાળાં
પ્રદૂષિત પાણીને કારણે અમારાં ખેતરો બંજર બની ગયાં છે. જમીનો રાખ જેવી થઈ ગઈ છે. પશુઓ
પણ પાણીને કારણે ચામડીના ખરીના રોગના ભોગ બન્યાં છે. કિસાન સંઘના પ્રમુખ જમનભાઈ પાઘડારે
આક્ષેપ કર્યો હતો કે, જેતપુરના માથાભારે કારખાનેદારો રાજકીય ઓથ હેઠળ નદીમાં કેમિકલયુક્ત
પાણી છોડે છે જેને કારણે ખેડૂતો સાથે પશુ, પક્ષી અને પાણીની જીવસૃષ્ટિ પણ નાશ પામી
છે.