• શનિવાર, 16 મે, 2026

ઉત્ખનનમાં 5મી થી 8મી સદીના અવશેષોનો અમૂલ્ય ખજાનો મળ્યો

પ્રાચીન વલભીપુરના વૈભવનો પુન: ઉદય

મેલોલાઈટ પથ્થરના બાંધકામો અને તાંબાના સિક્કા, સીલ(મહોર), શંખની બંગડીઓએ જગાવી કુતૂહલતા; 18મી મેના રોજ વોટસન મ્યુઝિયમ ખાતે ફોટો પ્રદર્શન યોજાશે

(ફૂલછાબ ન્યૂઝ)

રાજકોટ, તા.15: ભાવનગર જિલ્લામાં સ્થિત પ્રાચીન વિદ્યાધામ વલ્લભીપુર ખાતે ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ અને ગુજરાત રાજ્ય પુરાતત્ત્વ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા ઉત્ખનનમાં ચોંકાવનારા અને ઐતિહાસિક તથ્યો સામે આવ્યા છે. ચીની મુસાફર હ્યુ-એન-ત્સાંગના વર્ણનોમાં જેનો ઉલ્લેખ છે, તેવા આ મહાન શૈક્ષણિક અને ધાર્મિક કેન્દ્રની સમૃદ્ધિના પુરાવાઓ ફરી એકવાર ધરતીના પેટાળમાંથી બહાર આવ્યા છે.

પ્રાચીન સ્થળ વલભીપુર ખાતે ચાલી રહેલા પુરાતત્ત્વીય ઉત્ખનનમાં આ પ્રદેશના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વને ઉજાગર કરતી અનેક નોંધપાત્ર શોધો મળી આવી છે. ઐતિહાસિક દસ્તાવેજોમાં વિદ્યાના મહાન કેન્દ્ર તરીકે જાણીતા વલભીપુરનો ઉલ્લેખ ચીની મુસાફર હ્યુ-એન-ત્સાંગે પણ કર્યો હતો, જેમણે તેને પ્રારંભિક ઐતિહાસિક સમયગાળા દરમિયાન શિક્ષણ અને ધર્મની મહત્ત્વની વિદ્યાપીઠ તરીકે વર્ણવ્યું હતું. વલ્લભીપુરનું પુરાતત્ત્વીય મહત્ત્વ દાયકાઓથી વિદ્વાનો અને સંશોધકોને આકર્ષતું રહ્યું છે. અગાઉ આ સ્થળે ફાધર હેરાસ અને ત્યારબાદ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (એમ.એસ. યુનિવર્સિટી), વડોદરા દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ શૈક્ષણિક વારસાને આગળ ધપાવતા, ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ, ઉત્ખનન શાખા-5, વડોદરા દ્વારા ડૉ. રેશમા સાવંત, (ડિરેક્ટર ઓફ એક્સવેશન) ડૉ સુદ્ધા શાહ

(કો ડિરેક્ટર ઓફ એક્સવેશન)ના માર્ગદર્શન હેઠળ મફત નગર પાસેના સંરક્ષિત સ્થળે વૈજ્ઞાનિક ઉત્ખનનની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો હાથ ધરવામાં આવ્યો હતો. આ દરમિયાન બે ખાઈ ખોદવામાં આવ્યા હતા, જેમાં મહત્વપૂર્ણ માટીના વાસણો અને પ્રાચીન વસ્તુઓ મળી આવી હતી, જેમાં ટોર્પિડો જારના ટુકડા, કાળા અને લાલ મૃદપાત્રો, કાળા પોલિશ કરેલા વાસણો, ટેરાકોટા પ્લેક, નંદીની મૂર્તિઓ, પથ્થરના મણકા અને શંખની બંગડીઓનો સમાવેશ થાય છે. આ શોધો વલભીપુરની સમૃદ્ધ ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ હોવાનું દર્શાવે છે. જે બ્રાહ્મણ પરંપરા, બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ સાથે સંકળાયેલા પ્રભાવોની ઝાંખી કરાવે છે. 

આ પ્રોત્સાહક શોધોથી પ્રેરાઈને ઉત્ખનનનો બીજો તબક્કો નવેમ્બર 2025થી શરૂ કરવામાં આવ્યો. જે મે 2026 સુધી ચાલ્યો હતો. આ બીજા તબક્કાનું ખોદકામ ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ, ઉત્ખનન શાખા-5, વડોદરાના ડાયરેક્ટર ડૉ. રેશમા સાવંત, (ડિરેક્ટર ઓફ એક્સવેશન) ડૉ સુદ્ધા શાહ (કો ડિરેક્ટર ઓફ એક્સવેશન) અને ગુજરાત સરકારના પુરાતત્ત્વ નિયામકની કચેરીના કો- ડાયરેક્ટર ડૉ. સિદ્ધા શાહ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યું હતું. તાજેતરના ઉત્ખનનમાં પુષ્કળ માળખાકીય અવશેષો અને અત્યંત ઐતિહાસિક મૂલ્ય ધરાવતી પુરાતત્ત્વીય સામગ્રી મળી આવી છે. દરબારગઢ ખાતે પકવેલી ઈંટોની દીવાલો ધરાવતા માળખાકીય લક્ષણો જોવા મળ્યા હતા, જ્યારે થાપનાથ ખાતે મેલોલાઈટ પથ્થર અને પકવેલી ઈંટોનો ઉપયોગ કરીને બનાવેલા બાંધકામો મળી આવ્યા છે. સંરક્ષિત સ્થળ પરના ઉત્ખનનમાં કાચી ઈંટોની દીવાલોની સાથે પકવેલી ઈંટોના માળખાકીય અવશેષો પણ મળી આવ્યા છે. ઉત્ખનન દરમિયાન મોટી સંખ્યામાં પ્રાચીન વસ્તુઓ પણ મળી આવી છે, જેમાં તાંબાના સિક્કા, સીલ (મહોર) અને સાલિંગ, શંખની બંગડીઓ, તામ્રપત્રો, પથ્થરના મણકા, ટેરાકોટા પ્લેક અને રમત-ગમતના પાંસાનો સમાવેશ થાય છે. આ શોધો પ્રાચીન વલભીપુરના શહેરી સ્વરૂપ, વ્યાપારી પ્રવૃત્તિઓ, કારીગરી અને ધાર્મિક વિવિધતા વિશે મહત્વની માહિતી આપે છે.

18મી મેના રોજ આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ 2026ની ઉજવણી નિમિત્તે, વલભીપુર ઉત્ખનનમાંથી પસંદ કરાયેલ પ્રાચીન વસ્તુઓ અને મહત્ત્વપૂર્ણ શોધો પ્રદર્શિત કરતું એક વિશેષ ફોટો પ્રદર્શન વોટસન મ્યુઝિયમ ખાતે આયોજિત કરવામાં આવશે.

ખોદકામ મુખ્યત્વે ત્રણ મહત્ત્વના સ્થળોએ કરાયું

ળ         થાપનાથ મહાદેવ ડુંગર

ળ         દરબારગઢ પાસેનો ટાઉન વિસ્તાર

ળ         મફતનગર પાસેના સુરક્ષિત સ્થળે ચાલુ રાખવામાં આવેલી ખાઈ

 

 

વલભીપુર ઉત્ખનનની મુખ્ય વિશેષતાઓ

પ્રાચીન અવશેષો: તાંબાના સિક્કા, સીલ (મહોર), તામ્રપત્રો, ટેરાકોટા પ્લેક અને રમત-ગમતના પાંસા.

બાંધકામ શૈલી: મેલોલાઈટ પથ્થર અને પકવેલી ઈંટોની દીવાલો ધરાવતા મજબૂત માળખા.

સમયગાળો: પ્રાથમિક અંદાજ મુજબ આ સામગ્રી 5મીથી 8મી સદીના સમયગાળાની છે.

ધાર્મિક સંગમ: બ્રાહ્મણ પરંપરા, બૌદ્ધ અને જૈન ધર્મના પ્રભાવ ધરાવતી મૂર્તિઓ અને પ્રતિકો પ્રાપ્ત થયા છે.

ઇ-પેપરના નવા શુલ્ક