અમદાવાદ, તા. 20: અમદાવાદમાં આઇટી કંપનીમાં રેડના 12 દિવસ બાદ ગુજરાત સરકારે આનંદીબેન પટેલના જમાઈ જયેશ પટેલના ટ્રસ્ટનાં કૌભાંડો સામે તપાસના આદેશ કર્યા છે. આ માટે એસઆઇટી સીટની ટીમની રચના કરાઈ છે. જેમાં રિટાયર્ડ આઇએએસ વિનય વ્યાસા અન ચેરિટી કમિશનર વાય એસ શુક્લને તપાસ સોંપાઈ છે. જેમાં સાબરમતી સત્યાગ્રહ આશ્રમના તાબા હેઠળની હરિજન આશ્રમ ટ્રસ્ટની જમીનોને બારોબાર વેચી દેવાનું કૌભાંડ પકડાયું છે. જેની તપાસ કરવામાં આવશે.
નોંધનીય છે કે અમદાવાદમાં દિવાળી પહેલા આઇટી વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી હતી. આઇટી વિભાગે જે કંપનીમાં દરોડા પાડયા છે. તેના બોર્ડમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની દોહિત્રી સામેલ છે ત્યારે હવે રાજકારણ જગતમાં ફરી ખળભળાટ મચવાની શક્યતા છે. અમદાવાદના ગાંધી આશ્રમની જમીનોના બારોબાર વેચાણ કૌભાંડની તપાસ માટે સરકારે સીટની રચના કરી છે. સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટની રાણીપ અને વાડજની કરોડોની જમીન પાણીના ભાવે વેચી દેવાઈ છે. રાષ્ટ્રપિતા ગાંધીજી દ્વારા સાબરમતી આશ્રમની સ્થાપના કરાઈ હતી. તેની 104 એકર જમીન પૈકી હરિજન આશ્રમ ટ્રસ્ટે અત્યાર સુધીમાં 40 હજાર ચોરસ મીટરની જમીન ચેરિટી કમિશનરની મંજૂરી વગર પાણીના ભાવે બિલ્ડરોને વેચી દીધી છે.
સત્યાગ્રહ આશ્રમ સંલગ્ન 6 ટ્રસ્ટ પૈકીનું એક હરિજન આશ્રમ ટ્રસ્ટમાં વર્ષો સુધી ઈશ્વરભાઈ પટેલ કર્તાહર્તા રહ્યા હતા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના હાલના રાજ્યપાલ આનંદીબેન પટેલના જમાઈ જયેશ પટેલ પાસે સમગ્ર વહીવટ છે. ટ્રસ્ટની જમીન બારોબાર મંજૂરી વગર સગેવગે કરી દેવાઈ. આ સમગ્ર પ્રક્રિયામાં સરકાર તરફથી કોઈ મંજૂરી લેવામાં ન આવી. બિલ્ડરોએ તેના પર વેપારી સંકુલ અને રહેણાક સોસાયટી પણ બનાવી દીધી ત્યારે હવે આ સમગ્ર કૌભાંડ મામલે સીટની ટીમ તપાસ કરશે.