ગોંડલ, તા.11: ગત તા.22-12-2022ના રોજ રીબડામાં યોજાયેલી જાહેરસભામાં ક્ષત્રિય સમાજ અને પટેલ સમાજના આગેવાનોની હાજરી આપી જનમેદનીને વક્તવ્યો આપી સંબોધિત કરી હતી. જેમાં સ્ટાન્ડર્ડ એગ્રો એન્જિનિયર્સ- રાજકોટ વાળા ઉદ્યોગપતિ ગોવિંદભાઇ ભગવાનજીભાઇ સગપરિયાએ વક્તવ્ય આપેલું જે અંગે રીબડાના અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા દ્વારા માનહાનિ અંગે ગોવિંદ વિરુદ્ધ ગોંડલ સિવિલ કોર્ટમાં બદનક્ષીનો રૂ.50 કરોડનો દાવો દાખલ કરાયો હતો.
દાવો ચાલે ત્યાં સુધી ગોવિંદભાઇ તેની મિલકતોનું વેચાણ કરે નહી તેવો વચગાળાનો મનાઇ હુકમ મળવા અરજી કરવામાં આવેલ તે દાવાની સમન્સ/નોટિસની બજવણી થતા ગોવિંદભાઇ તેના વકીલ નિરંજન ભંડેરી મારફત ગોંડલ કોર્ટમાં હાજર થયેલ અને દાવો તથા વચગાળાનો મનાઇ હુકમ મળવાની અરજી સામે જવાબ રજૂ કરી તેમાં દાવામાની સ્પષ્ટ કબૂલ કર્યા સિવાયની હકીકતોનો ઇનકાર કરેલ, તેમજ દાવાની સાથે ગોવિંદભાઇએ રાષ્ટ્રીય-આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે 36 જેટલા એવોર્ડ મેળવેલ હોય તેના તથા સામાજિક ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિ કરતા હોવાના તથા અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજા ગુનાહીત ઇતિહાસ ધરાવતા હોવાના દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા.વકીલ દ્વારા ગોવિંદભાઇ સગપરિયા પાટીદાર સમાજના અગ્રણી ઉપરાંત સફળ ઉદ્યોગપતિ તેમજ જે તે વખતના ભારત દેશના હાઇએસ્ટ એકસ્પોર્ટર હોય તેમના વ્યક્તિત્વ અંગે રજૂઆત કરાઇ હતી.