ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
જામનગર, તા.22: જામનગરમાં જિલ્લા કોળી સમાજના પ્રમુખના પુત્રનું અકસ્માતમાં મૃત્યુ થયું છે. એકટીવા લઇને નિકળેલા યુવાનને ટ્રકે અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો.
જામનગર જિલ્લા કોળી સમાજના પ્રમુખ વનરાજ પારેજીયાનો 24 વર્ષનો પુત્ર મયુર ગઈકાલે રાત્રે પોતાનું સ્કૂટર લઈને ગોકુલ જકાતનાકા તરફ જઈ રહ્યો હતો, જે દરમિયાન સામેથી પુરપાટ ઝડપે આવી રહેલા જીજે-10 ઝેડ-9552 નંબરના સિમેન્ટ ભરેલા ટ્રકના ચાલકે એકટીવાને હડફેટમાં લઈ લેતા મયુર પારેજીયાને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર થઈ હતી, જેને સારવાર માટે ગંભીર હાલતમાં જામનગરની સરકારી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવને લઈને મૃતકના પરિવારમાં ભારે ગમગીની છવાઈ હતી.
અકસ્માતના બનાવ અંગે મૃતકના કાકા દિનેશભાઈ સવજીભાઈએ સીટી સી. ડિવિઝન પોલીસ મથમાં અકસ્માત સર્જનાર ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી માર્ગ પર બિનવારસી હાલતમાં પડેલો ટ્રક કબજે કરી લીધો છે, જ્યારે તેના ચાલકની શોધખોળ હાથ ધરી છે.