• ગુરુવાર, 16 જુલાઈ, 2026

કલ્યાણપુરના નાવદ્રા ગામે જમીનની માથાકૂટમાં ફાયારિંગ : એકને ઈજા

ફાયારિંગની ઘટનામાં સામેલ 13 શખસની અટકાયત

ખંભાળીયા,તા.15:  કલ્યાણપુરના નાવદ્રા ગામે જમીન વિવાદને લઈને ફાયારિંગ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક વ્યક્તિને પગમાં બે ગોળી ધરબી દેવાતા ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

નાવદ્રા ગામના લખમણ કરમૂર નામના વ્યક્તિ પર જમીન વિવાદને લઈને ફાયારિંગ કરાતા તેમના પગમાં 2 ગોળી વાગી હતી. ફાયરીંગમાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા લખમણભાઇને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર લોહીયાળ ઘટનાનો અને ઇજાગ્રસ્ત યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં લાંબા ગામના દેવસી ચેતરીયા નામના શખસ દ્વારા ફાયારિંગ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને કલ્યાણપુર પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી અને આ ફાયારિંગની ઘટનામાં સામેલ 13 જેટલા લોકોની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે. આ ફાયારિંગથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. બીજી તરફ પોલીસ હાલ આ ગુનામાં સંડોવાયેલા તમામ શખસો સામે કડક કાર્યવાહી કરવા માટે વધુ તપાસ ચલાવી રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક