• ગુરુવાર, 16 જુલાઈ, 2026

એસિડ એટેક પીડિતોને મળશે દિવ્યાંગતાનો લાભ

સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ સરકાર દ્વારા કાયદામાં કરવામાં આવેલો મોટો સુધારો

નવી દિલ્હી, તા.1પ: એસિડ એટેક પીડિતોની દોજખ બની ગયેલી જિંદગીમાં થોડી રાહત આપતો કાનૂની બદલાવ કરવામાં આવ્યો છે. હવે આવા પીડિતોને પણ દિવ્યાંગનો દરજ્જો મળશે અને તમામ સરકારી લાભો પ્રાપ્ત થશે. એસિડ એટેક એવો ભયંકર અને બર્બર અપરાધ છે જે માત્ર ચહેરો જ નહીં પણ પીડિતની આખી જિંદગી દઝાડી નાખી છે. જ્યારે કોઈને બળજબરીથી તેજાબ પીવડાવી દેવામા આવે ત્યારે બહારની કોઈ ઈજા કે ઘા દેખાતા નથી અને અંદરથી આખું શરીર ચાળણી થઈ જાય છે. અત્યાર સુધી આવી ઘટનાઓનાં પીડિતો ન્યાય અને સરકારી યોજનાઓનાં અધિકારોથી વંચિત રહી જતાં હતાં કારણ કે તેમને આવેલી ખોડખાંપણ દેખાતી નથી હોતી. જો કે હવે કાયદામાં એક આવકાર્ય બદલાવ કરવામાં આવ્યો છે અને તેજાબ હુમલાનાં પીડિતોને દિવ્યાંગતાનો લાભ આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટની એક ટિપ્પણી બાદ કાયદામાં આ સુધારો થયો છે.

કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત કરવામાં આવ્યું છે કે, દિવ્યાંજન અધિકાર અધિનિયમ-2016માં એક મોટો સુધારો કરવામાં આવ્યો છે. હવે આ કાયદા હેઠળ એસિડ એટેક પીડિતોને પણ તમામ સરકારી લાભ અને કલ્યાણકારી યોજનાઓનો લાભ મળશે. આ ઐતિહાસિક સુધારો એસિડ એટેક પીડિત શાહીન મલિક દ્વારા દાખલ કરવામાં આવેલી એક જનહિત અરજી બાદ સંભવ બન્યો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક