લગ્નના પાંચ મહિના બાદ પત્ની ગમતી ન હોવાથી અને અવાર નવાર થતાં ઘર કંકાસથી પતિએ ગળા અને છાતીના ભાગે ઘા ઝીંક્યા હતા
જામનગર,
તા.24: જામનગર શહેરના મહાપ્રભુજીની બેઠક નજીક આવેલી રાજમોતી સોસાયટીમાં લગ્નના માંડ
પાંચ મહિનામાં જ ઘરકંકાસથી કંટાળીને પતિએ પોતાની પત્નીની હત્યા કરી નાખતા ચકચાર મચી
ગઈ છે. ગત ફેબ્રુઆરી માસમાં થયેલા લગ્ન બાદથી જ પત્ની પસંદ ન હોવાનું કહી પતિ અવારનવાર
ઝઘડા કરી માનસિક ત્રાસ આપતો હતો. અગાઉ પરિવારજનો દ્વારા સમાધાન કરાવ્યા બાદ પણ કંકાસ
ચાલુ રહ્યો હતો અને આખરે પતિએ માથા તેમજ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના જીવલેણ ઘા ઝીંકી
પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
બનાવને
પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટના અંગે મૃતકના ભાઈ પરસોત્તમભાઈ
સોનગરાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે પતિ મનિષભાઈ નાગજીભાઈ કછટીયા સામે ગુનો નોંધી
આગળની તપાસ હાથ ધરી છે. ગત 23 જુલાઈના રોજ બપોરે ઉગ્ર ઝઘડા બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત
પરિણીતા વર્ષાબેનને જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ નીપજ્યું
હતું.
હાલ
આ સમગ્ર મામલે પી.આઈ વી. એમ. ડોડિયા દ્વારા
આરોપી પતિ સામે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.