નવીદિલ્હી, તા.11: ઉત્તરપ્રદેશ એટીએસ દ્વારા આજે એક સનસનીખેજ ખુલાસો કરવામાં આવ્યો છે. એટીએસનાં કહેવા અનુસાર જલાલુદ્દીન ઉર્ફ છાંગુર બાબાને છેલ્લા ત્રણ વર્ષમાં આશરે 500 કરોડ રૂપિયા જેટલું જંગી વિદેશી ભંડોળ મળ્યું હતું. આમાંથી 200 કરોડની રકમ અધિકૃત બેન્કિંગ માધ્યમોથી ભારતમાં આવી હતી. જ્યારે 300 કરોડ રૂપિયા ગેરકાનૂની હવાલા ચેનલો થકી નેપાળનાં રસ્તે ભારતમાં ઘૂસાડવામાં આવ્યા હતાં. આ નાણું મુસ્લિમ દેશોમાંથી આવ્યું હતું. ભારત ધર્માંતરણનાં અપરાધિક ઈરાદાથી આ નાણા છાંગુર બાબાને મોકલાયા હતાં.
એટીએસની
તપાસમાં સામે આવ્યું છે કે, નેપાળનાં કાઠમાંડુ, નવલપરાસી, રુપનદેહી અને બાંકે જેવા
સીમાવર્તી જિલ્લામાં 100થી વધુ બેન્ક ખાતા ખોલવામાં આવ્યા હતાં અને તેમાં આ નાણું જમા
કરાવાયું હતું. આ ભંડોળ પાકિસ્તાન, દુબઈ, સાઉદી અરબ અને તુર્કી જેવા મુસ્લિમ બહુમત
ધરાવતા દેશોમાંથી આવેલા. આ ખાતામાં પૈસા નેપાળનાં સ્થાનિક એજન્ટોનાં માધ્યમથી ભારત
પહોંચાડવામાં આવ્યા હતાં. જેનાં બદલમાં એજન્ટોને 4-પ ટકા જેટલું કમિશન ચૂકવાયું હતું.