-પહેલીવાર 3 એસ્ટ્રોનોટને 400 કિમી ઓર્બિટમાં મોકલશે ભારત
નવી દિલ્હી, તા.ર1 : ચંદ્રયાન-3 અને આદિત્ય એલ-1 મિશનની સફળતા બાદ ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરોએ ગગનયાન મિશનની તૈયારીઓ પૂરજોશમાં આરંભી છે. ઈસરોએ બુધવારે જણાવ્યું કે ગગનયાન માટે ક્રાયોજેનિક એન્જિનનું ટેસ્ટિંગ પૂરું કરી લેવાયું છે. આ મિશનમાં પહેલીવાર ભારતીય એસ્ટ્રોનોટ્સને ઓર્બિટમાં મોકલવામાં આવનાર છે.
ઈસરો અનુસાર સીઈર0 ક્રાયોજેનિક એન્જિન હવે ગગનયાન મિશન માટે હ્યૂમન રેટેડ છે. તેના આકરા પરિક્ષણને આધારે એન્જિનની ક્ષમતા ચકાસવામાં આવી છે. આ એન્જિન એલવીએમ 3 વાહનના ઉપરના તબક્કાને બૂસ્ટ કરશે. પહેલું માનવરહિત ગગનયાન મિશન (જી1) ર0ર4ના બીજા ત્રિમાસિક સુધીમાં પૂર્ણ થઈ શકે છે. ગગનયાન મિશનમાં ઈસરોની યોજના 3 એસ્ટ્રોનોટને 3 દિવસ માટે 400 કિમીના ઓર્બિટમાં પહોંચાડવાની છે. ભારતીય સમુદ્રી ક્ષેત્રમાં તેમના સુરક્ષિત લેન્ડિંગ પણ મિશનનો એક ભાગ છે. આ પ્રોજેકટમાં રૂ. 9000 કરોડનો ખર્ચ થવાની સંભાવના છે.