• મંગળવાર, 17 માર્ચ, 2026

2024 વિશ્વ કપની જીતે ચિનગારીનું કામ કર્યું : સૂર્યકુમાર ‘હવે પાછળ જોવાની જરૂર નથી, શાનદાર સફર શરૂ થઇ ચૂકી છે’

ઇશાન કિશનની પસંદગી અંતર આત્માનો અવાજ ગણાવી

નવી દિલ્હી, તા.16: ભારતના ટી-20 કપ્તાન સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં હાલમાં જ ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની છે. બીસીસીઆઇના એવોર્ડ સમારોહમાં જયારે સૂર્યકુમારને સાવલ થયો કે એવો કોઇ મુકાબલો ખરો જે તમે ફરી રમાવા માગતા હો. જેના પર સૂર્યકુમારે તુરત જવાબ આપ્યો કે 2023 વન ડે વર્લ્ડ કપનો અમદાવાદમાં રમાયેલો ફાઇનલ મુકાબલો. જે ફરી રમવા માગે છે અને નિશ્ચિત રીતે જીતવા માગે છે.

સૂર્યકુમારે વધુમાં જણાવ્યું કે 2024ની ટી-20 વિશ્વ કપ જીતે એક ચિનગારીનું કામ કર્યું. જેને લઇને ભારતે અલગ અલગ જેંડર અને એજ ગ્રુપમાં હાલના સમયમાં આઇસીસી ખિતાબ જીત્યા. મારું માનવું છે કે બસ એક ચિનગારી કે એક પગલાની જરૂર હતી. જેને અમે 2024માં પાર કર્યું. એ પછી અમે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી, મહિલા ટીમે વન ડે વર્લ્ડ કપ જીત્યો અને 2026માં ફરી ખિતાબ જીત્યો. તે પગલું જરૂરી હતું. આઇસીસી ટ્રોફીનો સ્વાદ ચાખવો જરૂરી હતો. હવે પાછળ જોવાની જરૂર નથી. હવે શાનદાર સફર શરૂ થઇ ચૂકી છે. આપણે વધુ ને વધુ ટ્રોફી એકત્રિત કરવાનો પ્રયાસ કરવો પડશે.

ટી-20 વિશ્વ કપ-2026ના વિજય પર કપ્તાન સૂર્યકુમારે જણાવ્યું કે અમે 17-18 મહિના પહેલા જ રણનીતિ શરૂ કરી દીધી હતી. અમે બધા જાણતા હતા કે કેટલો મોટો મોકો છે. યુવા ખેલાડીઓને વર્લ્ડ કપ જીતવાનું મહત્ત્વ સમજાવવું જરૂરી હતું. તેઓ જ્યારે કેરિયરના અંતિમ પડાવ વખતે પાછળ ફરીને જોશે તો તેમને ખ્યાલ આવશે કે તેમણે કેટલા વર્લ્ડ કપ જીત્યા છે.

ટીમમાં સંજૂ સેમસનને સામેલ કરવો એક રણનીતિક ફેસલો હતો. જેણે ટીમની દીશા બદલી નાંખી. સેમસનને ઇલેવનમાં સામેલ કરવાનો નિર્ણય યોગ્ય સમય પર લેવાયો કારણ કે અમારે સંતુલનની જરૂર હતી. કપ્તાન સેમસનની પ્રશંસામાં કહ્યું તે શાનદાર રમ્યો અને આખરે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બન્યો.

ઇશાન કિશનની વર્લ્ડ કપમાં પસંદગી પર સૂર્યકુમારે કહ્યંy આ ફક્ત અંતર આત્માના અવાજ જેવો નિર્ણય હતો. જિતેશ શર્માને બહાર કરી ઇશાન કિશનને સામેલ કરવો કઠિન નિર્ણય હતો. મેં ઇશાનને ફોન કરી કહ્યું છોટૂ વર્લ્ડ કપ જીતાડીશ. તો તેણે જવાબ આપ્યો કે ભૈયા બસ ભરોસો કરીને જુઓ. ત્યારે મેં કહ્યું ચાલ તારા પર ભરોસો કર્યો. આ પછી તે જે રીતે રમ્યો તે શાનદાર રહ્યું.

આ તકે સૂર્યકુમારે સીનીયર ખેલાડીઓ હાર્દિક, બુમરાહ અને અક્ષરની પ્રશંસા કરી હતી જ્યારે હાલના નીડર ક્રિકેટ માટે જૂના ખેલાડીઓ યુવરાજ, ધોની, કોહલી અને રોહિત સહિતનાની સોચ ગણાવી હતી. મેદાન પર શાંત રહેવા પર કહ્યું કે આ બધું રોહિતભાઇ પાસેથી શિખ્યું છે. ડરના માહોલમાં આપ ખેલાડી પાસેથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરાવી શકો નહીં.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક