• બુધવાર, 21 મે, 2025

સ્વર્ગને દોજખ બનાવનારા આતંકી હવે જહન્નમ જશે

કાશ્મીરમાં તાબડતોબ કાર્યવાહીનો સિલસિલો : આતંકવાદીઓનાં ઘરોનાં ધડાકાભેર ફૂરચા ઉડયા

તૈયબાનો એક કમાન્ડર ઢેર સીમાએ ગોળીબારનાં જડબાતોડ જવાબમાં પાકિસ્તાની ચોકીઓને નષ્ટ કરતી સેના: સીમાએ યુદ્ધવિમાનોની ઘરેરાટી: સેનાપ્રમુખ કાશ્મીરની મુલાકાતે: રાહુલ ગાંધી ઘાયલોને મળ્યાં

શ્રીનગર, તા.2પ: જમ્મુ-કાશ્મીરમાં પહલગામમાં નૃશંસ આતંકવાદી આતંકવાદી હુમલામાં પછી કાશ્મીર ઘાટીમાં તાબડતોબ કાર્યવાહીનો સિલસિલો શરૂ થયો છે. જેમાં સુરક્ષા દળો આતંકવાદીઓને વીણી-વીણીને જહન્નમ પહોંચાડી રહ્યાં છે. આતંકવાદીઓનાં ઘર પ્રચંડ વિસ્ફોટો અને બુલડોઝરથી ધ્વસ્ત થવા લાગ્યા છે. સીમાડાનાં વિસ્તારોમાં યુદ્ધ વિમાનોની ઘરેરાટીઓ સંભળાવા લાગી છે. ભારત તરફથી પાકિસ્તાન પોષિત આતંકવાદીઓ સામે મોટી કાર્યવાહીની અવળી ગણતરી ચાલી રહી હોવાનું ભાળીને હચમચી ઉઠેલા પાકિસ્તાનની હાલત પાતળી થઈ ગઈ છે અને હવે અંકુશરેખાએ ફરીથી ગોળીબાર આદર્યા છે. લોખંડી જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પણ પાકિસ્તાની ચોકીઓને નષ્ટ કરી નાખી છે. બીજીબાજુ સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદી જમ્મુ-કાશ્મીરની મુલાકાતે પહોંચી ગયા છે અને સુરક્ષાની સ્થિતિ અંગે આવશ્યકત દિશા-નિર્દેશો આપી રહ્યાં છે. દરમિયાન લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી પણ આજે કાશ્મીરની મુલાકાતે પહોંચી ગયા હતાં અને હુમલામાં ઘાયલ લોકોને મળીને સાંત્વના પાઠવી હતી.

છેલ્લા 12 કલાકથી કાશ્મીરમાં દિલધડક કાર્યવાહીઓ જોવા મળી રહી છે. ઉત્તર કાશ્મીરનાં બાંદીપોરામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે મૂઠભેડ ચાલી રહી છે અને તેમાં લશ્કર-એ-તૈયબાનો એક આતંકી અલ્તાફ લલ્લી ઢેર કરાયો હતો. આ કાર્યવાહીમાં સેનાનાં બે જવાન પણ ઘવાયા હતાં. આ વિસ્તારમાં ઘણાં આતંકી છૂપાયા હોવાની બાતમી છે અને છેલ્લા બે દિવસમાં અહીં ચોથી અથડામણ સર્જાઈ છે. સમગ્ર વિસ્તારને ઘેરીને સુરક્ષાદળો હજી પણ આ ઓપરેશન ચલાવી રહ્યાં છે. દરમિયાન કઠુઆ જિલ્લાનાં હીરાનગર સેક્ટરમાં સુરક્ષાદળોની તૈનાતી વધારી નાખવામાં આવી છે. અહીં ચન્ની વિસ્તારમાં એક મહિલાએ ચાર સંદિગ્ધને જોયાની બાતમી પોલીસને આપ્યા બાદ પોલીસ હરકતમાં આવી ગઈ હતી.

પહલગામ હુમલામાં સામેલ આતંકવાદી આસીફ શેખનાં ઘરને આજે વિસ્ફોટ સાથે ઉડાડી દેવામાં આવ્યું હતું. ત્રાલનાં બિજબેહડામાં સુરક્ષાદળોને તલાશી અભિયાનમાં આતંકવાદી આદિલનાં ઘરમાંથી મોટાપાયે વિસ્ફોટકો મળી આવ્યા હતાં. આદિલનાં ઘરની ઘેરાબંધી વખતે અનેક સંદિગ્ધ ચીજો ધ્યાને આવતાં સુરક્ષાદળોને ખતરાની ગંધ આવી ગઈ હતી. સલામતી સુનિશ્ચિત કરવાં દળો થોડા પાછા હટી ગયા હતાં. આ દરમિયાન જ એક ભયાનક ધડાકો થયો હતો અને તેમાં તેનું ઘર ધ્વસ્ત થઈ ગયું હતું. કુલગામનાં તનમર્ગમાં પાકિસ્તાની આતંકીઓનું ઠેકાણું ધ્વસ્ત કરી નાખવામાં આવ્યું છે. અહીં સુરક્ષાદળોને ગેસનાં બાટલા સહિતની ચીજો મળી હતી. આતંકીઓ અહીં રોકાયા હોવાની આશંકા છે. જો કે તલાશી અભિયાન પહેલા જ આતંકીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતાં.

ભારત તરફથી કોઈ મોટી સૈન્ય કાર્યવાહીની તૈયારીની દહેશતમાં હાફળાંફાંફળા પાકિસ્તાની દળોએ ગુરુવારની આખી રાત અંકુશરેખાએ બંદૂકોને ફૂટતી રાખી હતી. ભારતીય સેનાએ પણ તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો. ચંબા અને ઉરી સેક્ટરમાં સામસામા ગોળીબાર ચાલુ રહ્યા હતાં. જો કે આ ઉશ્કેરણી સામે ભારત તરફથી આક્રમક જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનની અનેક ચોકીઓ તબાહ થઈ ગઈ હતી. અંકુશરેખાએ પાકિસ્તાન બાજુથી ગોળીબાર પછી આકાશમાં ભારતીય સેનાનાં લડાકુ જેટ પણ એક્શનમાં આવી ગયા હતાં. પીરપંજાલ ક્ષેત્રમાં ભારતીય વાયુસેનાનાં ફાઈટર જેટ ગરજતા દેખાયા હતાં. ભારતીય વાયુસેનાનાં યુદ્ધાભ્યાસનાં કારણે ઉત્તર ભારતનાં અનેક વિસ્તારોમાં હવાઈ ક્ષેત્રોને સામાન્ય વિમાન સેવાઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે.

કટોકટીનાં આ સમયે સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદી પણ આજે શ્રીનગર પહોંચી ગયા હતાં. તેમણે પહલગામમાં આતંકવાદી હુમલાનાં સ્થળની મુલાકાત પણ લીધી હતી. આ ઉપરાંત તેઓ વિક્ટર ફોર્સનાં વડામથકની મુલાકાતે પણ ગયા હતાં. આ મુલાકાતમાં તેમણે કાશ્મીરમાં આપાત સંજોગો માટેની તૈયારીની સમીક્ષા કરી હતી.

બીજીબાજુ કોંગ્રેસ અને વિપક્ષનાં નેતા રાહુલ ગાંધી પણ આજે કાશ્મીરમાં ઘાયલોની મુલાકાત લેવા પહોંચી ગયા હતાં. આ ઉપરાંત તેમણે મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે પણ મુલાકાત કરી હતી અને વ્યાપારી, પર્યટન કારોબારનાં સંગઠનોની રજૂઆતો પણ સાંભળી હતી.

પહલગામ હુમલા પછીની સ્થિતિને ધ્યાને રાખતા રાજસ્થાનનાં જૈસલમેરમાં સીમાડાનાં વિસ્તારોમાં પણ બીએસએફ એલર્ટ થઈ ગઈ છે. અહીં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે અને અતિરિક્ત તૈનાતીઓ પણ કરી દેવામાં આવી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલની કોલીથડ ચોકડી પાસે ટ્રેકટર પાછળ બાઈક ઘૂસી જતાં યુવકનું મૃત્યુ May 21, Wed, 2025