મથુરામાં બનેલા બનાવમાં 22 લોકોને બચાવી લેવાયા : PM મોદી, CM યોગીએ દુ:ખ વ્યક્ત કર્યું
મથુરા,
તા. 10 : મથુરાના વૃંદાવનમાં શુક્રવારે યમુના નદીમાં મોટી દુઘર્ટના બની હતી. નદીમાં
બનેલા પીપા પુલ પાસે શ્રદ્ધાળુઓ ભરેલી એક હોડી પલટી હતી. આ દુર્ઘટનામાં 10 શ્રદ્ધાળુના
ડૂબીને મૃત્યુ થયા હતા જ્યારે 22 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. બાદમાં પણ ઘણા લોકો
લાપતા હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની સૂચના મળતા જ સ્થાનિક પ્રશાસન અને રાહત-બચાવ
ટીમ સ્થળ ઉપર પહોંચી હતી.
મથુરાના
ડીએમ ચંદ્ર પ્રકાશ સિંહે કહ્યું હતું કે, યમુના નદીમાં સર્ચ ઓપરેશન સતત ચાલી રહ્યું
છે અને લાપતા લોકોની તલાશ થઈ રહી છે. મથુરા જિલ્લા પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ
ઉપર પહોંચી ગયા હતા અને સ્થિતિ ઉપર નજર રાખી હતી. વૃંદાવનમાં હોડી પલટવાની ઘટના અંગે
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંજ્ઞાન લીધું હતું અને મૃતકોના પરિજનો
પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. પીએમ મોદીએ પણ ઘટના ઉપર દુ:ખ વ્યક્ત કર્યું હતું અને
કહ્યું હતું કે, સ્થાનિક પ્રશાસન પ્રભાવિત લોકોની સહાય કરી રહ્યા છે. સીએમ યોગીએ અધિકારીઓને
રાહત અને બચાવ કાર્યમાં તેજી લાવવાનો નિર્દેશ આપ્યો છે. સાથે જ મૃતકોના પરિજનોને યોગ્ય
વળતર ઉપલબ્ધ કરાવવા નિર્દેશ આપ્યો છે.