બે વર્ષ પહેલાના બનાવમાં હકીકત છુપાવનાર સામે હાઈકોર્ટના આદેશ બાદ પોલીસે કાર્યવાહી કરી
વડોદરા,
તા.6 : સોખડા સ્વામી.મંદિરમાં બે વર્ષ પહેલા એક સ્વામીના આપઘાત પ્રકરણમાં હાઈકોર્ટમાં
અરજી કર્યા બાદ હાઈકોર્ટના આદેશના પગલે આપઘાતના બનાવની હકીકત છુપાવી પોલીસને ગેરમાર્ગે
દોરનાર મૃતક સ્વામીના ભાઈ સહિત પાંચ સ્વામીઓ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ
ધરવામાં આવી હતી.
આ અંગેની
વિગત એવી છે કે, સોખડા સ્વામીનારાયણ મંદિરમાં ર0રરની સાલમાં મંદિરમાં રહેતા ગુણાતીત
ચરણદાસ સ્વામીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો અને આ બનાવના પગલે મૃતક ગુણાતીત સ્વામી
સાથે રહેતા પ્રભુપ્રિય સ્વામી ગભરાઈ ગયા હતા અને આ અંગેની જાણ સંત જ્ઞાનસ્વરુપ સ્વામીને
કરી હતી અને બન્ને મૃતદેહ નીચે ઉતાર્યો હતો અને હુક તથા કપડું ગુમ કરી દીધા હતા અને
બાદમાં મૃતક ગુણાતીત સ્વામીના પૂર્વાશ્રમના પિતરાઈભાઈ હરીપ્રકાશ સ્વામીને વાત કરી હતી
અને ત્યાર બાદ મૃતક ગુણાતીત સ્વામીના સગાભાઈ કિશોરભાઈને વાત કરી હતી અને બનાવ આપઘાતનો
ન હોવાનું જાહેર કરી પીએમ કરાવી અંતિમવિધિ કરવામાં કરવામાં આવી હતી.
આ બનાવ
સંદર્ભે પોલીસે હાથ ધરેલી તપાસમાં મંદિરના સ્વામીઓ અને પરિવારે કયા સંજોગોમાં આપઘાતનો
બનાવ જાહેર ન કર્યે તે બાબત જણાવી દીધી હતી. દરમિયાન મૃતક ગુણાતીત સ્વામીના દૂરના ભત્રીજાએ
હરીધામથી અલગ થયેલા જૂથના પ્રભાવમાં આવીને ફરીથી અરજી કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી
અને બાદમાં આ મામલે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને તપાસ કરી ગુનો નોંધવાનો આદેશ
કરવામાં આવ્યો હતો.
આ મામલે
પોલીસે મુંબઈના ભાયંદરમાં રહેતા હસમુખભાઈ મોહનલાલ ત્રાગડિયાની ફરિયાદ પરથી મૃતક ગુણાતીત ચરણદાસ સ્વામીના જૂનાગઢના વંથલી ગામે
રહેતા ભાઈ કિશોર નારાયણભાઈ ત્રાગડિયા, સોખડા યોગી આશ્રમમાં રહેતા સાધુ હરી પ્રકાશદાસ ગુરુ હરીપ્રસાદજી, સોખડાના સાધુ પ્રભુપ્રિયદાસ ગુરુ
હરીપ્રસાદ દાસજી, સાધુ જ્ઞાનસ્વરુપ ગુરુ હરીપ્રસાદ દાસજી, સાધુ તયાગ વલ્લભદાસ સ્વામી
ગુરુ હરીપ્રસાદ સ્વામી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.