આજે નેશનલ ડોલ્ફિન ડે : ડોલ્ફિન
માટે ગુજરાતનો દરિયો વધુ સુરક્ષિત : કચ્છથી ભાવનગર સુધીનો દરિયાકિનારો ડોલ્ફિનના ઘર
તરીકે પ્રસ્થાપિત
અમદાવાદ, તા. 13: ગુજરાત સહિત
દેશભરમાં દર વર્ષે 14 એપ્રિલે નેશનલ ડોલ્ફિન ડે તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ડોલ્ફિનનું
મહત્ત્વ, સુરક્ષા અને તેના રહેઠાણોને કેવી રીતે વધુ સુરક્ષિત કરી શકાય તે અંગે જાગૃતિ
આવે તેવા વિષયો ઉપર વધુ ભાર મુકવામાં આવી રહ્યો છે. ગુજરાત સમગ્ર દેશમાં સૌથી લાંબો
સમુદ્રી કિનારો ધરાવતો હોવાના લીધે સમૃદ્ધ જળચર પ્રાણી વારસો એટલે કે, અનેક દુર્લભ
જળચર પ્રાણીઓ જોવા મળે છે જેમાં, સૌથી સુંદર અને આકર્ષક પ્રાણી ડોલ્ફિન છે.
તાજેતરમાં રાજ્યના વન વિભાગ દ્વારા
ગુજરાતમા ડોલ્ફિનની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. રાજ્ય સરકારના જળચર-વન્ય જીવ સંરક્ષણ
અને સંવર્ધનના વિશેષ પ્રયાસોના પરિણામે ગુજરાતના 4,087 ચો.કિ.મી.ના દરિયાઈ વિસ્તારમાં
અંદાજે 680 ડોલ્ફિન નોંધાઈ છે, ત્યારે જળચર તેમજ વન્યજીવ પ્રવાસન ક્ષેત્રે પણ ગુજરાતે
હરણફાળ ભરી છે. જે સૌ ગુજરાતીઓ માટે ગૌરવ સમાન ક્ષણ છે.
ગુજરાતમાં કચ્છથી ભાવનગર સુધીનો
દરિયાકિનારો ડોલ્ફિનના ઘર તરીકે પ્રસ્થાપિત થયો છે. ગુજરાતના દરિયાકાંઠાના પાણીમાં
ઈન્ડિયન ઓસન હમ્પબેક ડોલ્ફિન જોવા મળે છે. હમ્પબેક ડોલ્ફિન વધારે પ્રમાણમાં અરબી સમુદ્રમાં
મળી આવે છે, તેને વિશિષ્ટ ખૂંધ અને વિસ્તરેલી ડોર્સલ ફિન એટલે કે, પૂંછડીથી ઓળખી શકાય
છે. ડોલ્ફિન તેમના મૈત્રીપૂર્ણ અને જિજ્ઞાસુ સ્વભાવ માટે જાણીતી છે. ડોલ્ફિન ઘણીવાર
લહેરોમાં કૂદતી અને રમતી જોવા મળે છે, જે પ્રવાસીઓને તેમના એક્રોબેટિક પ્રદર્શનથી આનંદિત
કરી મૂકે છે. તેમનું શરીર આકર્ષક અને મોઢાનો આકાર બોટલ
જેવો હોવાથી તેમને સરળતાથી ઓળખી શકાય તેવી બનાવે
છે.
કચ્છથી ભાવનગર સુધીના દરિયાકાંઠે
ડોલ્ફિનને માણવી- જોવી એ અપાર આનંદની સાથે રોમાંચક અનુભવ પ્રદાન કરે છે, જે ગુજરાત
સહિત દેશ-વિદેશના પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.