જૂનાગઢ,તા.13 : વડોદરાની પુલ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે તમામ પુલોની તપાસ માટે તજજ્ઞોની ટીમ ઉતારી છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સોરઠના સ્ટેટ સહિત 54 બ્રિજની ચકાસણી કરી લેવાઈ છે. આ તપાસ બાદ જૂનાગઢ જિલ્લાના શાપુર (સોરઠ) મેંદરડાના ભાટીયા અને ભેંસાણના ઉબેણપુલ ઉપર તમામ વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ લદાયો છે.
વંથલીના શાપુર ગામ પાસે આવેલ
જુનવાણી પુલ જર્જરિત થયેલી જણાતા આ પુલ ઉપર આગામી તા.9 સુધી તમામ પ્રકારના વાહનોના
પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકાયો છે. વૈકલ્પિક વ્યવસ્થામાં વાડલા-ધણફુલીયા-શાપુર રોડ તથા
વજાડલા લુવારસર-શાપુર રોડનો ઉપયોગ કરી શકાશે. જ્યારે જૂનાગઢ-મેંદરડા માર્ગ ઉપર ભાટીયા
ગામ પાસે આવેલ પુલ જુનો અને જર્જરિત હોવાથી સલામતીના ભાગ રૂપે આ પુલ ઉપર ભારે વાહનોને
પસાર થવા ઉપર પ્રતિબંધ મુકાયો છે તેમજ ભેંસાણ ખાતે ઉબેણ નદી પર આવેલ પુલના સ્લેબમાં
રેઈન ફોર્સમેન્ટ વિઝીબલ હોય તેથી આ પુલ ઉપર તમામ પ્રકારના વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ
લદાયો છે.
જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયાના
માર્ગદર્શનમાં પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને
ટેકનિકલ સ્ટાફ દ્વારા કેશોદ સબ ડિવિઝનના 9 પુલ જેમાં કેશોદ નગરપાલિકા વિસ્તાર, ગ્રામ્ય
વિસ્તાર, માંગરોળ ગ્રામ્ય વિસ્તાર, મેંદરડા તાલુકાના 8 પુલ, વંથલીમાં 12 અને વિસાવદરમાં
25 પુલના ટેકનિકલ પાસાઓનું નિરીક્ષણ કરવામાં
આવ્યું હતું.