• મંગળવાર, 20 જાન્યુઆરી, 2026

77મા પ્રજાસત્તાક પર્વની નવરચિત વાવ-થરાદ જિલ્લામાં થશે ઉજવણી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદન કરાવશે

(ફૂલછાબ ન્યુઝ)

અમદાવાદ, તા.19 : 77મા પ્રજાસત્તાક પર્વ 26 જાન્યુઆરી, 2026ની રાજ્યકક્ષાની ઉજવણી નવરચિત વાવ - થરાદ જિલ્લામાં થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વાવ-થરાદ જિલ્લામાં મલુપુર ખાતે નવી કોર્ટની સામેના હેલીપેડ ગ્રાઉન્ડમાં પ્રજાસત્તાક પર્વે સવારે 9:00 કલાકે રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદન કરાવશે તેમજ પરેડ માર્ચ પાસ્ટની સલામી ઝીલશે. 

આ રાષ્ટ્રીય પર્વની રાજ્યના વિવિધ જિલ્લાઓનાં તાલુકા મથકોએ જે ઉજવણી થશે તેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદમાં મકરબા ખાતે ધ્વજવંદન કરાવશે. આ ઉપરાંત રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ જે તે જિલ્લાઓનાં તાલુકા મથકોએ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ઉપસ્થિત રહીને ધ્વજવંદન કરાવશે.

રાજ્યના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા આ સંદર્ભમાં જાહેર કરાયેલી યાદીમાં જણાવ્યા મુજબ નાણાં મંત્રી કનુ દેસાઈ નવસારી જિલ્લાનાં ચિખલીમાં, કૃષિ મંત્રી જીતુ વાઘાણી રાજકોટ જિલ્લાનાં જેતપુરમાં, ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ ગાંધીનગર જિલ્લાનાં માણસામાં, શ્રમ-રોજગાર મંત્રી કુંવરજી બાવળિયા પોરબંદર જિલ્લાનાં રાણાવાવમાં, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ વલસાડ જિલ્લાનાં ઉમરગામમાં, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા દાહોદ જિલ્લાનાં ગાવિંદગુરુ-લિંબડીમાં,

શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમ્ન વાજા સાબરકાંઠાનાં હિંમતનગરમાં, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકી ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં ધ્વજવંદન કરાવશે.

રાજ્યકક્ષાના મંત્રીઓમાં મત્સ્યોદ્યોગ મંત્રી પુરુષોત્તમ સોલંકી ગીર-સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં, શ્રમ-રોજગાર રાજ્યમંત્રી કાંતિ અમૃતિયા કચ્છનાં ભુજમાં, શહેરી વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શના વાઘેલા સુરેન્દ્રનગર જિલ્લાનાં વઢવાણમાં, કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરિયા, ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકામાં, ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંગા અમરેલી જિલ્લાના ખાંભામાં, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા બોટાદ જિલ્લાનાં ગઢડામાં ધ્વજવંદન કરશે.

ઇ-પેપરના નવા શુલ્ક