સૌરાષ્ટ્રના 11 જિલ્લાના 972 ગામોના 8.25 લાખ એકર વિસ્તારને સિંચાઈનો, 31 શહેરો-737 ગામોને પીવાના પાણીનો લાભ મળશે
(ફૂલછાબ ન્યુઝ)
અમદાવાદ, તા. 18: ‘નર્મદાના પાણીથી સૌરાષ્ટ્રના જળાશયો ભરવા માટે સૌની યોજના અન્વયે 9,371 કિ. મી. પાઇપલાઇનના કામો માટે મંજૂરી આપવામાં આવી છે એ માટે રૂપિયા 16,721 કરોડનો ખર્ચ કરાયો છે. આ યોજના હેઠળ 1,298 કિ.મી. ની પાઇપલાઇનના કામો પૂર્ણ કરાયા છે જ્યારે 73 કિલોમીટર લંબાઈની પાઇપલાઇનના કામો બાકી છે જે સત્વરે પૂર્ણ કરાશે.’ એમ એમ રાજ્યના જળ સંપત્તિ રાજ્ય મંત્રી મુકેશ પટેલે જણાવ્યું છે.
આજે વિધાનસભા ખાતે સૌની યોજના અન્વયે પાઈપ લાઈનની કામગીરીના પ્રશ્નના પ્રત્યુતરમાં પટેલે ઉમેર્યું કે, સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રના 115 જળાશયોનું જોડાણ કરવાનું આયોજન હતું જે પૈકી 95 જળાશયોનું જોડાણ કરી દેવાયું છે અને બાકી રહેતા 20 જળાશયોના જોડાણ સત્વરે પૂર્ણ કરી દેવાશે. સૌરાષ્ટ્રમાં આ યોજના થકી 11 જિલ્લાના 972 ગામોના આશરે 8.25 લાખ એકર વિસ્તારને સિંચાઇઓનો લાભ તથા 31 શહેર અને 737 ગામોને પીવાના પાણી માટે નર્મદાના નીરનો લાભ મળશે. આ ઉપરાંત સૌની યોજના હેઠળ 25 મુખ્ય પમ્પિંગ સ્ટેશન 8 ફીડર પમ્પિંગ સ્ટેશન મળી કુલ 33 સ્ટેશનની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે.
તેમણે કહ્યું હતું કે નર્મદાના ત્રણ મિલિયન એકર ફીટ વહી જતા પાણીનો લાભ સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાત અને કચ્છને મળી રહે એ આશયથી સૌની યોજનાનો આરંભ વડાપ્રધાને કર્યો હતો એ આજે ખેડૂતો-નાગરિકો માટે સાચા અર્થમાં આશીર્વાદ રૂપ પુરવાર થઈ રહી છે
સૌની યોજના હેઠળ ત્રણ મિલિયન એકર ફીટ વધારાનું વહી જતું પાણી ખેડૂતો - નાગરિકોને પીવાના પાણી - સિંચાઈની સુવિધાઓ પૂરી પાડવામાં આવનાર છે. જેમાં એક મિલિયન એકર ફીટ પાણી સૌરાષ્ટ્ર વિસ્તારને, એક મિલિયન એકર ફીટ ઉત્તર ગુજરાતને આપવા માટે સુજલામ સુફલામ યોજના હેઠળ 9 જાળાશયો અને 17 તળાવો પાઇપલાઇન દ્વારા ભરવાનું આયોજન છે જ્યારે 1 મિલિયન એકર ફીટ પાણી કચ્છ માટેના કામો હાથ ધરાશે.