• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

જામજોધપુર : નદી, ચેક ડેમમાં ડૂબી જતા 19 વર્ષના બે યુવાનના મૃત્યુ

ગીંગણી ગામે વેણુ નદીના પુલ પાસે નાહવા પડેલા અને અકસ્માતે ચેકડેમમાં પડી જતા યુવાન મૃત્યુને ભેટયા

જામનગર, તા 20:  જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ડૂબી જવાથી બે યુવાનના મૃત્યુ નિપજયા છે. જેમાં ગીંગણી તેમજ ખોડિયાર મંદિર પાછળ ચેકડેમમાં ડૂબી જવાથી બે યુવાનના મૃત્યુ નિપજયાના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. આ બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ મૃતદેહોને બહાર કાઢી પોલીસને સોંપ્યા હતા.

પ્રથમ બનાવમાં બગોદરા જિલ્લાના બાસવાડા ગામનો વતની અને હાલ ગીંગણી ગામે ધીરૂભાઈ ફળદુના ડેલામાં રહેતો અને ખેતમજૂરી કામ કરતો રાજેશ ભૈરાભાઈ ડોડિયા નામનો 19 વર્ષીય યુવાન મજૂરીકામ પૂર્ણ કરીને વેણુ નદીના પુલ પાસે પાણીમાં ન્હાવા પડયો હતો. જેમાં વહેતા પાણીમાં અકસ્માતે ડૂબી જતાં તેમનું મૃત્યુ નિપજયું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ મનોહર ભૈરાભાઈ ડોડિયાએ પોલીસને જાણ કરતાં ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબ્જો લઈ વધુ તપાસ હાથ ધરી હતી.

બીજા બનાવમાં મૂળ જૂનાગઢ જિલ્લાના વતની અને હાલ જામજોધપુર નજીકના કોર્ટ બિલ્ડીંગ પાસે રહેતો કરણ જેરામભાઈ નિમાવત નામનો 19 વર્ષીય યુવાન ખોડિયાર મંદિરની પાછળ આવેલ ચેકડેમમાં કપડાં ધોતી વખતે અકસ્માતે પગ લપસી જતાં નદીમાં પડી ગયો હતો. જેથી તેનું ડૂબી જવાથી મૃત્યુ નિપજયું હતું. આ બનાવ અંગે જેરામભાઈ દામોદરભાઈ નિમાવતએ પોલીસને જાણ કરતાં મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક