વડોદરા, તા.ર1 : વડોદરામાં તસ્કર-
લુંટારુ ગેંગ ઉતરી હોવાની અફવાઓ વચ્ચે ગઈકાલે વારસીયા વિસ્તારમાં એકઠા થયેલા ટોળાએ
એક યુવાનની હત્યા કરી નાખ્યાનો બનાવ પોલીસમાં નોંધાયો હતો. દરમિયાન આજવા રોડ પર રહેતા
ફેકટરી માલિકના મકાનમાં ધાડપાડુ ગેંગ ત્રાટકી હતી અને ર0 તોલા સોનુ, બે કિલો ચાંદી
અને અઢી લાખની રોકડ સહિતની મતાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયાનો બનાવ પોલીસમાં નોંધાયો હતો.
આ અંગેની વિગત એવી છે કે, આજવા
રોડ પરના વિસ્તારની નવજીવન સોસાયટીમાં રહેતા અને સરદાર એસ્ટેટમાં ફેકટરી ધરાવતા અશોકભાઈ
સિંધલાના મકાનમાં મોડી રાત્રીના ધાડપાડુ ગેંગ ત્રાટકી હતી અને હથિયાર બતાવી અશોકભાઈ
તથા તેની પત્ની ને પુત્ર સહિતના પરિવારને બાનમાં લીધા હતા. બાદમાં તીજોરી તોડી ર0 તોલા
સોનાના દાગીના, બે કિલો ચાંદી અને અઢી લાખની
રોકડ સહિતની મતાની લૂંટ ચલાવી મકાનનો દરવાજો બંધ કરી ફરાર થઈ ગયા હતા.
આ બનાવ અંગેની જાણ થતા પોલીસ
કાફલો દોડી ગયો હતો અને ફેકટરી માલીક અશોકભાઈ સિધલાની ફરિયાદ પરથી ચાર બુકાનીધારી ધાડપાડુ
વિરુધ્ધ ગુનો નેંધી આસપાસમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે ઝડપી
લેવા દોડધામ શરૂ કરી હતી.