• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

જસદણ નજીક આલણસાગર ડેમમાં ડૂબી જતા સગીરનું મૃત્યુ

જસદણ, તા. 20: ગઈકાલે ત્રણ મિત્રો જસદણ નજીક આલણસાગર ડેમમાં ન્હાવા પડયા હતા. જેમાંથી એક સગીર ડુબી જતા તેનું મૃત્યુ થયું છે. જસદણ નજીક બાખલવડ ગામે આવેલા આલણસાગર ડેમ ઓવરફ્લો થયો હોવાથી તેમાં શનિવારે ત્રણ મિત્રો ન્હાવા ગયા હતા. જેમાંથી જસદણના 17 વર્ષનો આઝમ હનિફભાઈ માલકાણી નામનો સગીર ન્હાતી વખતે પડી જતા તેના માથામાં ઈજા થતા ડેમમાં ડુબી ગયો હતો.  જોકે તેની સાથેના બે મિત્રોને ખબર ન હતી કે તે પાણીમાં ડુબી ગયો છે. તેમણે આખી રાત તેની શોધખોળ કરી હતી. આજે તારીખ 20મીએ સવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના માથાના પાછળના ભાગે ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા. આ ઘટનામાં એકના એક પુત્રનું અકાળે અવસાન થતા પરિવારજનો પર આભ ફાટયું હતું. મુસ્લિમ સમાજના આગેવાન હાજી સિરાજભાઈ ડાયાતરે કહ્યું હતું કે બે છોકરાએ રાત્રે બે વાગે કહ્યું કે અમારી સાથેનો ત્રીજો મિત્ર અમને કહ્યા વગર ચાલ્યો ગયો છે. તે ડુબી ગયો હોવાની જાણ આજે સવારે તેનો મૃતદેહ પાણીમાં ઉપર આવ્યો ત્યારે થઈ હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક