ગાંધીનગર નજીક ગમખ્વાર અકસ્માત
: પાછળની સીટમાં બેઠેલાં મહિલા, બાળક ઈજાગ્રસ્ત : કારનાં પતરાં કાપીને મૃતદેહ બહાર
કાઢવા પડયા
અમદાવાદ, તા. 8 : ગાંધીનગરના
લીંબડિયા નર્મદા મુખ્ય કેનાલના બ્રીજ નજીક નેશનલ હાઇ વે પર શનિવારે મોડી રાત્રે ટ્રક
અને કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કારમાં સવાર બે યુવાનનાં મૃત્યુ
નીપજ્યાં હતાં. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે
ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં બન્ને યુવકનાં
નામ વિજયકુમાર મનહરલાલ જાગેટિયા (શાહ) તેમજ દીપેશ રાજુભાઈ રમદાણી (શાહ) હોવાનું સામે
આવ્યું છે. ફાયરબ્રિગેડે કારનો દરવાજો અને બોડી કાપીને મૃતદેહ બહાર કાઢયા હતા. સમગ્ર
ઘટના પગલે ટ્રાફિક જામનાં દૃશ્યો પણ સર્જાયાં હતાં.
પ્રાપ્ત વિગતો અનુસાર હિંમતનગર તરફથી આવતી બ્રેઝા
કારમાં પાંચ જણા આવી રહ્યા હતા. આ દરમિયાન નાના ચિલોડા સર્કલથી લીંબડિયા નર્મદા મુખ્ય
કેનાલ બ્રિજ પાસે કારના ચાલકે વળાંક લેવા જતાં કાર ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. જેમાં
કારમાં આગળ બેઠેલા બે યુવકનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં જ્યારે કારમાં પાછળની સીટમાં
બેઠેલાં મહિલા - બાળક ઇજાગ્રસ્ત થતાં સ્થાનિકોએ બહાર કાઢી લઈ 108 મારફતે સારવાર અર્થે
મોકલી આપ્યાં હતાં.
બાદમાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા
યુદ્ધનાં ધોરણે કારનો દરવાજો તેમજ કારની બોડી રેસ્ક્યૂનાં સાધનો વડે કાપવાની શરૂઆત
કરી દીધી હતી અને ભારે જહેમત પછી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.