અમદાવાદ, તા. 13: ગુજરાત યુનિવર્સિટીના
સૌથી વધુ વિવાદીત અને ચકચારી એવા એનિમેશન કૌભાંડમાં પૂર્વ કોઓર્ડિનેટર કમલજિત લખતરિયા
સામે હાલ ક્રાઈમ બ્રાંચમાં તપાસ ચાલી રહી છે. પરંતુ તેઓ સામેની યુનિવર્સિટીની જ્યુડિશિયલ-ખાતાકીય
તપાસમાં થયેલા ખુલાસા અનુસાર એનિમેશન વિભાગમાં 2017-18થી લઈને 2021-22 સુધીના 5 વર્ષમાં
વિવિધ સેલ્ફ ફાઈનાન્સ કોર્સીસ-પ્રોગ્રામમાં કુલ ફી આવક 24.25 કરોડ રૂપિયાથી વધુની થઈ
હતી. જેમાંથી કોર્સીસ ચલાવતા નોલેજ પાટનર્સને-એજન્સીઓને 17.65 કરોડ રૂપિયાથી વધુની
રકમ ચુકવાઈ હતી. તપાસ મુજબ નોલેજ પાટનર્સને 3 કરોડ રૂપિયાથી વધુની રકમ વધારે એટલે કે
ખોટી રીતે ચૂકવાઈ હતી.
એનિમેશન વિભાગ-નોલેજ પાર્ટનરો
વચ્ચેના એમઓયુ મુજબ 2017-18થી 2020-21 સુધી કુલ આવકમાંથી યુનિવર્સિટીને 40 ટકા અને
નોલેજ પાર્ટનરોને 60 ટકા રકમ તથા 2021-22થી 30.70 ટકાની રકમ આપવાનું નક્કી કરાયુ હતું.
આ દરમિયાન જુલાઈ 2023માં નવા કુલપતિ નિમાયા બાદ તેઓને એનિમેશન વિભાગમાં ગેરરીતિઓની
આશંકા જતા 8-8-2023ના રોજ કમલજિત લખતરિયાને કુલપતિએ કોઓર્ડિનેટરમાંથી મુક્ત કર્યા હતા.
આ ઉપરાંત તેઓ પાસેથી વિભાગના તમામ નાણાકીય વ્યવહારોના ડોક્યુમેન્ટ-ચેકબુક સહિતના કાગળીયા
માગવામાં આવ્યા હતા.