સરકારી
અધિકારીઓ કહે છે કે, કોઈ જવાબી ટેરિફની વિચારણા નથી
નવીદિલ્હી,
તા.7: અમેરિકા દ્વારા દુનિયા સામે છેડવામાં આવેલી ટેરિફ જંગમાં ભારત પણ અલિપ્ત નથી.
અનેક દેશો દ્વારા અમેરિકા સામે જવાબી ટેરિફનાં પગલા લેવામાં આવ્યા છે. ત્યારે એવો સવાલ
ઉઠવો વાજબી છે કે, ભારત પણ શું આવું કોઈ વળતું પગલું ભરશે કે તેની કોઈ તૈયારી છે ખરી?
આનો જવાબ આપતાં ભારતીય અધિકારીનાં હવાલેથી એવા અહેવાલ આવી રહ્યાં છે કે, ભારતની જવાબી
ટેરિફની કોઈ જ યોજના નથી. નામ અને પદ જાહેર કર્યા વિના ભારતીય અધિકારીનાં હવાલેથી મળતા
અહેવાલોમાં કહેવામાં આવેલું છે કે, મોદી સરકાર અમેરિકા સામે વાટાઘાટ કરી શકાય તેવા
મુદ્દાઓ ઉપર ધ્યાન આપી રહી છે. અમેરિકા તરફથી ઘોષિત ટેરિફ પછી વ્યાપારી ભાગીદારીમાં
રાહત થઈ શકે તેવા મુદ્દાઓ તારવવામાં આવી રહ્યાં છે. અન્ય દેશોની માફક ભારત અમેરિકા
ઉપર પ્રતિબંધો લાદવાને પોતાનાં હિતમાં સમજતું નથી. ભારત આ મુદ્દે અમેરિકા સાથે વ્યાપારી
સમજૂતીથી લાભ થાય તેવા વિકલ્પો ચકાસે છે.
તાતાની
માલિકીની જગુઆરે અમેરિકામાં રોકી સપ્લાઇ
નવીદિલ્હી,
તા.7: અમેરિકાનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જેવા સાથે તેવાની ટેરિફ નીતિ પછી દુનિયામાં
વેપાર યુદ્ધ છેડાઈ ગયું છે. જેમાં તાતા સમૂહની માલિકીની બ્રિટિશ લક્ઝરી કાર ઉત્પાદક
કંપની જગુઆર લેન્ડ રોવર દ્વારા ઘોષણા કરવામાં આવી છે કે, તે આગામી એક માસ માટે અમેરિકા
જતો પોતાનો તમામ માલ અટકાવી રહી છે. ટ્રમ્પની ટેરિફ નીતિનાં જવાબમાં કંપનીએ આ પગલું
ભર્યુ હોવાનું કહેવામાં આવે છે. આનાં હિસાબે આજે ભારતમાં તાતા મોટર્સનાં શેરનાં ભાવમાં
પણ જબરદસ્ત કડાકો પણ જોવાયો હતો.