મૃત્યુઆંકમાં 40 ટકા વધારો, 20 બચ્ચાંએ પણ જીવ ગુમાવ્યો
નવી દિલ્હી, તા.3 : દેશમાં વાઘોના
મોટી સંખ્યામાં મૃત્યુ અંગે ચિંતાજનક સ્થિતી છવાઈ છે. છેલ્લા 6 માસમાં 107 વાઘ જીવ
ગુમાવી ચૂક્યા છે. જે ગત વર્ષના સમયની તુલનાએ 40 ટકા વધુ છે.
વર્ષ ર0રપના 6 માસ વાઘ માટે સારા
રહ્યા નથી. 107 વાઘના મૃત્યુ થયા તેમાં ર0 બચ્ચાં હતા. જે ભવિષ્યમાં વાઘોની સંખ્યા
અંગે અસ્તિત્વનો ગંભીર સંકેત આપે છે. વર્ષ ર0ર1થી અત્યાર સુધી દેશમાં 666 વાઘ મર્યા
છે. કેન્દ્રિય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન
મંત્રાલય હેઠળ કામ કરતાં રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ પ્રાધિકરણ (એનટીસીએ) મુજબ આ વર્ષે પહેલા
6 માસમાં દેશમાં 107 વાઘ મૃત મળ્યા છે. જેની સામે ગત વર્ષના 6 માસમાં 76 વાઘના મૃત્યુ
થયા હતા. મધ્યપ્રદેશમાં સૌથી વધુ ર9 અને મહારાષ્ટ્રમાં ર8 વાઘના મૃત્યુ થયા છે. કર્ણાટક
અને આસામમાં 10-10 વાઘે જીવ ગુમાવ્યો છે. આ સિવાય કેરળમાં 9 અને ઉતરાખંડમાં 7 વાઘના
મૃત્યુ નોંધાયા છે. સત્તાવાર આંકડા મુજબ આ વર્ષે 60 વાઘના મૃત્યુ વન્ય જીવ અભ્યારણની
બહાર તથા 47 અભયારણની અંદર થયા છે. છેલ્લે ર6 જૂને કર્ણાટકના એમએમ હિલ્સના હુગ્યામમાં
એક માદા વાઘ અને 4 બચ્ચાં મૃત મળ્યા હતા. બનાવની તપાસ માટે એસઆઈટી ઘડવામાં આવી છે.