• મંગળવાર, 12 મે, 2026

ઓપરેશન સિંદૂરમાં આકાશમાંથી આગ વરસી રહી હતી : જૈશની કબૂલાત

સોશિયલ મીડિયા પોસ્ટ મારફતે દૃશ્યો

વર્ણવ્યાં : આતંકી મહિલા વિંગે હેડક્વાર્ટર ધ્વસ્ત થયાનું કબૂલ્યું

નવી દિલ્હી, તા. 10 : ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પાકિસ્તાનમાં આતંકીઓની કમર તોડીને રાખી દીધી હતી. પાકિસ્તાનમાં ઘણી આતંકી છાવણીઓને નેસ્તનાબૂદ કરી દેવામાં આવી હતી. જો કે આ ઓપરેશનનાં એક વર્ષ બાદ પણ હજી આતંકવાદીઓમાં ડરનો માહોલ છે. જૈશ એ મોહમ્મદના આતંકીઓમાં હજી પણ ખોફ છે. સોશિયલ મીડિયા પોસ્ટ મારફતે આતંકવાદી સંગઠન જૈશે ઓપરેશન સિંદૂરની રાતના ડરને વ્યક્ત કર્યો છે.

જૈશની પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે ઓપરેશન સિંદૂરની રાત ખૂબ જ અજીબ હતી. ઉપરથી આગ વરસી રહી હતી. જોરદાર ધડાકા થઈ રહ્યા હતા અને વચ્ચે વચ્ચે અલ્લાહૂ અકબરના નારા લાગી રહ્યા હતા. જાણે કે જૂના દોરનાં દૃશ્યો આંખની સામે આવી ગયાં હોય. આટલું જ નહીં અન્ય એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જૈશની મહિલા વિંગ જમાતે કહ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસમાં અલ મોમિનાતનાં કામ ઉપર અલ્લાહની ખાસ રહેમત અને મદદ રહી છે.

 આ પોસ્ટમાં ઓપરેશન સિંદૂર દરમિયાન જૈશના ગઢ બહાવલપુરમાં હેડક્વાર્ટર મસ્જિદ સુભાન અલ્લાહ સહિત ત્રણ મરકઝ ધ્વસ્ત થવાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ત્રણ મરકઝ શહીદ થયા હતા. જો કે ફરીથી આબાદ થયા છે અને 12 નવી મસ્જિદનું કામ શરૂ થયું છે. ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ બહાવલપુરમાં જૈશના હેડક્વાટર સુભાન અલ્લાહ મસ્જિદને ધ્વસ્ત કરી દીધી હતી. જેમાં મસૂદ અઝહરના પરિવાર સહિત મોટી સંખ્યામાં આતંકવાદી મરાયા હતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક