ચોટીલા,તા.11: ચોટીલાના અકાળા ગામે પત્ની સાથેના આડા સંબંધની અદાવતમાં 35 વર્ષીય અરાવિંદભાઈ પરાલીયા નામના યુવાનની બે શખ્સોએ ઘાતકી હત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગત રાત્રિએ અરાવિંદભાઈ જ્યારે તેમના મિત્ર સાથે બાઈક પર જઈ રહ્યા હતા, ત્યારે પૂર્વ આયોજિત કાવતરા મુજબ આરોપી એભલ અને વિપુલે રસ્તો આંતરી, લાઈટના અંજવાળે તેમને નિશાન બનાવ્યા હતા. હુમલાખોરોએ માથાના ભાગે પાઈપના ફટકા મારી નીચે પાડી દીધા બાદ છરીના આડેધડ ઘા ઝીંકી તેમને ઘટનાસ્થળે જ મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો
થયો છે કે મૃતકની પત્ની સાથે આરોપી એભલને પ્રેમ સંબંધ હોવાથી આ લોહિયાળ ખેલ ખેલાયો
છે. અગાઉ પણ આ બાબતે બંને પક્ષો વચ્ચે તકરાર થઈ હતી, જેનું વેર રાખીને આ કરપીણ હત્યાને
અંજામ આપવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન
હેઠળ અકાળા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને ચોટીલા પોલીસે ફરાર આરોપીઓને
ઝડપી લેવા અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.