તો રાજકોટને હરિદ્વારની ડેઈલી ટ્રેન મળે, હાપા-ઓખા સુધી પણ લંબાવી શકાય
રાજકોટ, તા. 16: રાજકોટથી હરિદ્વાર માટે એકમાત્ર સીધી ટ્રેન છે. જે સપ્તાહમાં એક જ વખત દોડે છે. જ્યારે અમદાવાદ-હરિદ્વાર વચ્ચે દોડતી ડેઈલી ટ્રેન યોગા એક્સપ્રેસ અમદાવાદ ર0 કલાક સુધી પડી રહે છે. જો આ ટ્રેન રાજકોટ સુધી લંબાવવામા આવે તો રાજકોટને હરિદ્વારની ડેઈલી ટ્રેન સેવા મળી રહે. રાજકોટમાં મેઈન્ટેનન્સ, ટ્રેકની ઉપલબ્ધતા ન હોય તો આ ટ્રેન હાપા-ઓખા સુધી પણ લંબાવી શકાય છે.
અમદાવાદ અને હરિદ્વાર વચ્ચે દોડતી ટ્રેન યોગા એક્સપ્રેસને રાજકોટ અથવા હાપા સુધી લંબાવવા માટે રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા દ્વારા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ તથા પશ્ચિમ રેલવેના ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર ક્ષેત્રથી હરિદ્વાર અને ઋષિકેશ જતા હજારો શ્રદ્ધાળુઓ અને મુસાફરોની સુવિધા માટે આ માંગણી ઉઠાવવામાં આવી છે.
આ અંગે વેસ્ટર્ન રેલવેના હિરેન મહેતાએ જણાવ્યું હતું કે હાલમાં આ ટ્રેન અમદાવાદ સ્ટેશને પહોંચ્યા બાદ લગભગ 20 કલાક સુધી નિક્રિય પડી રહે છે. જો આ રેકનો ઉપયોગ કરીને ટ્રેનને રાજકોટ અથવા હાપા સુધી લંબાવવામાં આવે, તો રેલવેના સંસાધનોનો મહત્તમ અને યોગ્ય ઉપયોગ થઈ શકશે. વર્તમાન સમયમાં ઓખા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગરથી હરિદ્વાર માટે માત્ર એક જ સાપ્તાહિક ટ્રેન (શુક્રવારે) ઉપલબ્ધ છે. જેના કારણે હરિદ્વાર, ઋષિકેશ અને ચારધામની યાત્રાએ જતા શ્રદ્ધાળુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
આ ટ્રેન લંબાવવાથી રાજકોટ, હાપા, જામનગર અને સુરેન્દ્રનગરના મુસાફરોને ઉત્તરાખંડના ધાર્મિક અને પ્રવાસન સ્થળો માટે સીધી ટ્રેન સુવિધા મળશે અને અમદાવાદ ખાતે ધક્કા તથા વધારાના ખર્ચમાંથી મુક્તિ મળશે. સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં મુસાફરો મળવાથી પશ્ચિમ રેલવેની આવકમાં પણ નોંધપાત્ર વધારો થશે.
ગુજરાત એક્સપ્રેસ
રાજકોટ સુધી લંબાવો
સાંસદ પરસોત્તમ રૂપાલાએ રજૂઆત કરી છે કે હાલમાં રાજકોટથી સાંજના સમયે અમદાવાદ, વડોદરા, સુરત અને મુંબઈ જવા માટે કોઈ સીધી ટ્રેન ઉપલબ્ધ નથી. જો ગુજરાત એક્સપ્રેસને રાજકોટ સુધી લંબાવવામાં આવે, તો વેપારીઓ અને મુસાફરો માટે મુંબઈ સુધીની કનેક્ટિવિટી વધુ સરળ બનશે. આ બંને ટ્રેનો લંબાવવાથી યાત્રિકોને કન્ફર્મ ટિકિટ મેળવવામાં સરળતા રહેશે અને સૌરાષ્ટ્રની આર્થિક તેમજ ધાર્મિક મુસાફરી વધુ સુવિધાજનક બનશે.