ઓસ્ટ્રેલિયા
એ સામેના બે ટેસ્ટ મેચમાં ઈશાન કિશન રમવા ઉતરે તેવી સંભાવના
નવી
દિલ્હી, તા. 19 : ચાલુ વર્ષની શરૂઆતે ભારતીય ક્રિકેટ બોર્ડના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી
બહાર કરવામાં આવેલા વિકેટકીપર ઇશાન કિશનની ભારતની એ ટીમમાં વાપસીની ઘણી સંભાવના છે.
કિશને ઘરેલુ ક્રિકેટ ઉપર ઇન્ડિયન પ્રીમિયર લીગને પ્રાથમિકતા આપવાનાં કારણે બીસીસીઆઇએ
કેન્દ્રીય કોન્ટ્રાક્ટમાંથી બહાર કર્યો હતો.
ઈશાન
કિશન વર્તમાન સત્રમાં ઘરેલુ ક્રિકેટમાં વાપસી કરીને ઝારખંડનું નેતૃત્વ કરી રહ્યો છે.
તેવામાં ઇશાન કિશન ઓસ્ટ્રેલિયા એ સામે બે ચાર દિવસીય ટેસ્ટ ઉપરાંત સિનિયર ટીમ સાથે
એક ઇન્ટ્રા સ્ક્વોડ અભ્યાસ મેચમાં ભાગ લેવા માટે તૈયાર હોવાની ચર્ચા છે. ઓસ્ટ્રેલિયા
એ સામે બે ટેસ્ટ 31 ઓક્ટોબરથી ત્રણ નવેમ્બર સુધી અને પછી સાતમી નવેમ્બરથી 10 નવેમ્બરના
રમાશે. બીસીસીઆઇએ હજી સુધી એ ટીમની ઘોષણા કરી નથી પણ ઋતુરાજ ગાયકવાડ અથવા અભિમન્યુ
ઈશ્વરનમાંથી કોઈ એક ટીમનું નેતૃત્વ કરે તેવી સંભાવના છે. અભિમન્યુએ છેલ્લા ચાર પ્રથમ
શ્રેણીના મેચમાં ચાર સદી કરી છે. તે સીનિયર ટીમમાં વૈકલ્પિક ઓપનિંગ બેટ્સમેન તરીકે
સામેલ થઈ શકે છે કારણ કે કેપ્ટન રોહિત શર્મા વ્યક્તિગત કારણોથી પહેલા બે ટેસ્ટમાંથી
એકમાં બ્રેક લેશે.