-બે
મહિનામાં કુલ 11,046 વાંધા સૂચનો મળ્યાં, સૌથી વધુ અમદાવાદ જિલ્લામાંથી 2,179 અને સૌથી
ઓછી તાપી જિલ્લામાંથી 7 અરજી મળી
-જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા 15 દિવસમાં વાંધા-સૂચનોની પ્રાથમિક ચકાસણી કર્યા બાદ સરકારને રજૂ કરાશે
અમદાવાદ,
તા.22 : મુસદ્દારૂપ જંત્રી-2024 માટે બે મહિનામાં રાજ્ય સરકારને કુલ 11,046 જેટલા વાંધા
સૂચનો મળ્યા છે. જેમાંથી 5400 જેટલા શહેરી વિસ્તારમાંથી જ્યારે 5600થી વધુ ગ્રામ્ય
વિસ્તારમાંથી આવ્યા છે. રાજ્ય સરકારને મળેલી કુલ રજૂઆતો પૈકી 6700 જેટલી અરજી પ્રવર્તમાન
જંત્રી દર ઓછા કરવાની અને 1755 જેટલી જંત્રી દર વધારવાની મળી છે. જ્યારે સર્વે નંબર ખોટા વેલ્યુઝોનમાં સમાવેશ કરવા 94, સર્વે
નંબરનો સમાવેશ જંત્રીમાં થયેલો ન હોય તેવી 268 અને 2176 જેટલા અન્ય વાંધા-સૂચનોની અરજી
રાજ્ય સરકારને મળી છે.
પ્રવક્તા
મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આ અરજીઓમાંથી સૌથી વધારે અમદાવાદ જિલ્લામાંથી
2,179 અને સૌથી ઓછી તાપી જિલ્લામાંથી કુલ 7 જેટલી વિવિધ વાંધા-અરજી મળી છે. હવે આ વાંધા-સૂચનોના
નિકાલ માટે જિલ્લા કક્ષાએ નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડયુટી દ્વારા મળેલા સૂચનોની પ્રાથમિક
ચકાસણી કરીને જિલ્લા કક્ષાની સમીતિમાં આખરી નિર્ણય માટે મોકલવાની કામગીરી હાથ ધરાશે.
જે સમગ્ર પ્રક્રિયા 15 દિવસમાં પૂર્ણ કરીને રાજ્ય સરકારને મોકલવામાં આવશે.
રાજ્યમાં
જાહેર હિતને ધ્યાને લઇ જમીનના ભાવોનું સરળીકરણ અને તર્કસંગતીકરણ કરી, વૈજ્ઞાનિક પદ્ધતિ
અપનાવીને વાસ્તવિક ભાવો દર્શાવતી, જંત્રી તૈયાર કરવાના દિશા નિર્દેશો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર
પટેલ દ્વારા આપવામાં આવ્યા હતાં. આનુસંગિક પરિબળોનું સાપેક્ષ યોગ્ય પૃથ્થકરણ કરી, જરૂરી
ફેરફાર કરી મળેલા ભાવોને ધ્યાને લઈ, શહેરી અને ગ્રામ્ય વિસ્તાર માટે જિલ્લાવાર અલગ-અલગ
ભાગમાં વિવિધ
હેતુઓ
માટેના ભાવોથી તૈયાર થયેલી મુસદ્દારૂપ જંત્રી અને માર્ગદર્શિકા તા.20/11/2024ના રોજ
વાંધા-સૂચન માટે પ્રસિદ્ધ કરવામાં આવી હતી. શરૂઆતમાં પ્રસિદ્ધ કરેલી જંત્રી બાબતે વાંધા
સૂચનો મંગાવવા માટે 20/12/2024 સુધીની અવધિ રાખવામાં આવી હતી. જે જાહેર હિતને ધ્યાને
લઇને તા. 20/01/2025 સુધી લંબાવવામાં આવી હતી. વધુમાં ઓનલાઇનની સાથે ઓફલાઇન પણ વાંધા-સૂચનો
સ્વીકારવાની વ્યવસ્થા કરાઇ હતી.