આગામી બે દિવસ રાજકોટ, અમરેલી સહિત અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ, પાંચ જિલ્લાઓમાં હીટ વેવની આગાહી
(ફૂલછાબ
ન્યુઝ)
રાજકોટ,
અમદાવાદ, તા.12: રાજ્યમાં ઉનાળાનો આકરો મિજાજ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં
રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે, જેના કારણે જનજીવન
પ્રભાવિત થયું છે. હવામાન વિભાગના આંકડા મુજબ, અમરેલી અને સુરેન્દ્રનગર 44.5 ડિગ્રી
સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યના સૌથી ગરમ શહેરો નોંધાયા છે જ્યારે રાજ્યના આર્થિક પાટનગર
અમદાવાદમાં પણ ગરમીનો પારો 44.4 ડિગ્રી સુધી પહોંચતા શહેરીજનો આકરી ગરમીમાં શેકાયા
હતા.
હવામાન
વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી આગાહી અનુસાર હજુ પણ બે દિવસ સુધી લોકોને ભીષણ ગરમીમાંથી
છૂટકારો મળવાનો નથી. તા. 13 અને 14એ રાજકોટ, અમદાવાદ, અમરેલી સહિત 16 જિલ્લામાં યલો
એલર્ટ આપવામાં આવી છે ત્યારે પાંચ જિલ્લાઓમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે. હવામાન
વિભાગના અનુસાર હાલમાં ગુજરાતની આસપાસ ત્રણ હવામાન સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે
રાજ્યમાં ઉત્તરથી ઉત્તર-પશ્ચિમ તરફના ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પવનોને લીધે વિવિધ
શહેરોમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જે જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવી છે
તેમાં બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, બોટાદ, રાજકોટ, અમરેલી, દેવભૂમિ દ્વારકા,
વડોદરાનો સમાવેશ થાય છે. તેમજ હીટવેવની ચેતવણી અપાઇ છે તેમાં કચ્છ, સુરેન્દ્રનગર, વડોદરા,
સુરતનો સમાવેશ થાય છે.
હવામાન
વિભાગના અનુસાર પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન
છે જે સમુદ્ર સપાટીથી 0.9 કિલોમીટર ઉપર છે, જ્યારે બીજું સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ-પશ્ચિમ
મધ્ય પ્રદેશ પર 1.5 કિલોમીટરની ઉંચાઈ સુધી વિસ્તરેલું છે. આમ, અત્યારે એક સાથે 3 મુખ્ય
સિનોપ્ટિક સિસ્ટમ સક્રિય હોવાના કારણે તાપમાનમાં વધારો નોંધાયો છે. જેના કારણે આગામી
14 મે સુધી કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં કાળઝાળ ગરમીને
લઈને હીટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડિરેક્ટર એકે દાસના અનુસાર 12થી
18મે સુધી હવામાન સામાન્ય રીતે સૂકું રહેશે અને આગામી 3 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં
કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં, પરંતુ તે પછી તાપમાનમાં 2થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો
થશે. પરંતુ કેટલાક વિસ્તારોમાં તાપમાન 41થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની સંભાવના
છે.