- દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજના 108 આગેવાનો સાથે બેઠક કરતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ: મોટું મન રાખીને રૂપાલાને માફ કરવા અનુરોધ
અમદાવાદ, સૂરત, તા.25 : કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ ઉપર કરાયેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ રાજ્યમાં છેલ્લા એક મહિનાથી રૂપાલા સામે ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે ત્યારે ચૂંટણી પૂર્વે રોષે ભરાયેલા ક્ષત્રિય સમાજને સમજાવવાના ભાજપના પ્રયાસો પણ તેજ થયાં છે, આ રોષને શાંત પાડવા માટે હવે ખુદ ભાજપના જ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું ‘ક્ષત્રિય સમાજનો વિરોધ માત્ર રૂપાલા પૂરતો છે, મોદી સામે નથી.’ એવું નિવેદન બહાર આવતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.
આજે સૂરતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી જેને શુભેચ્છા મુલાકાત નામ આપવામાં આવ્યું હતું. બેઠકમાં ક્ષત્રિય સમાજના 108 આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠક સકારાત્મક રહી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. બેઠક બાદ પાટીલે જણાવ્યું હતું કે, રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષનું વાતાવરણ છે, ક્ષત્રિય સમાજને દુ:ખ થયું હોય તે વાત પણ સ્વાભાવિક છે ત્યારે આજે આયોજિત બેઠકમાં દક્ષિણ ગુજરાતના 108 જેટલા ક્ષત્રિય આગેવાનોને વિનંતી કરી છે કે, આ આંદોલન શાંત પડે, ક્ષત્રિય સમાજને રૂપાલા સામે રોષ છે પણ પીએમ મોદી માટે રોષ નથી. રૂપાલાને ક્ષત્રિય સમાજ ક્ષમાં આપે તેવી વિનંતી કરી છે.
પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, ક્ષત્રિયોનો સહકાર અમને હમેશા સાપડયો છે. આજે પણ સમાજના આગેવાનોએ ભાજપ માટે તેઓનો કોઈ અણગમો ન હોવાની સ્પષ્ટતા કરી છે જે સ્પષ્ટ કરે છે કે, ક્ષત્રિયો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સન્માન કરે છે અને કેન્દ્ર સરકારના વિકાસ કામોની નોંધ લઈ રહ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, અમને ક્ષત્રિયોના વોટની જરૂર છે અને અમારી વિનંતી છે કે, તમે મોટું મન રાખી અમને માફ કરી દો. ક્ષમા વિરસ્ય ભૂષણમ ઉક્તિને ક્ષત્રિયોથી વધુ સાર્થક કોણ કરી શક્યું છે ? એટલે ફરી એકવાર રૂપાલાની ભૂલને ભૂલી જઈ ભાજપને સમર્થન આપવા વિનંતી કરું છું.