• સોમવાર, 31 માર્ચ, 2025

શેર ટ્રાન્સફરથી માલિકી હક્ક મેળવનારને સ્ટેમ્પ ડયુટી ભરવી પડશે

  સ્ટેમ્પ ડયુટીના કાયદામાં સામાન્ય જનતાને

પડતી હાલાકી ઘટાડવા અને કરચોરી

અટકાવવા સુધારા કરાયા

  ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના સમર્થનથી સ્ટેમ્પ ડયુટી સુધારા વિધેયક પસાર

  ગીરોમુક્તિ લેખ તથા ભાડાપટ્ટા લેખ માટે ઘરેબેઠાં ઇ-રજિસ્ટ્રેશન કરી શકાશે,

સબ રજિસ્ટ્રાર કચેરી સુધી નહીં જવું પડે

અમદાવાદ, તા.27 : ગુજરાત વિધાનસભાએ ગુરુવારે રાજ્યના નાગરિકોની મિલકતોના હક્કોનું રક્ષણ, સ્ટેમ્પ ડયુટીની ચોરી અટકાવવા તથા સરકાર દ્વારા વસૂલવા પાત્ર થતી સ્ટેમ્પ ડયુટીની યોગ્ય વસૂલાત માટેના ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-1958માં સુધારાઓને કોંગ્રેસના સમર્થન સાથે બહાલી આપી હતી. ગુજરાત સ્ટેમ્પ(સુધારા) વિધેયક-2025માં કરાયેલા કેટલાક મહત્ત્વના સુધારાઓ પૈકી કાયદાની છટકબારીથી કેટલીક કંપનીઓના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અન્ય કંપનીઓમાં શેર ટ્રાન્સફર કરીને બારોબાર માલિકી હક્ક મેળવતા હતા. એમાં હવેથી સ્ટેમ્પ ડયુટી લાગુ કરવાનો સુધારો પણ દાખલ કરાયો છે. આ ઉપરાંત અગાઉ જાહેર કરાયા મુજબ વડીલોપાર્જીત મિલકતોમાં અવસાન પામેલી પુત્રીના વારસદારોને હક્ક કમીના લેખ પર હાલ વસૂલાતી 4.90 ટકાની સ્ટેમ્પ ડયુટીને સ્થાને હવે ફક્ત રૂ.200ના સ્ટેમ્પ પેપર ઉપર થઇ શકે એવો સુધારો પણ કરાયો છે.

મુખ્યમંત્રી વતીથી ગૃહમાં ગુજરાત સ્ટેમ્પ (સુધારા) વિધેયક 2025 ઉદ્યોગમંત્રી બળવંતાસિંહ રાજપૂતે રજૂ કર્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે આ બિલ સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગના હિતમાં ગણાવીને તેને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. મંત્રી રાજપૂતે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-1958માં સુધારા માટેના બિલને સમયોચિત ગણાવ્યું હતું અને કહ્યું કે, બદલાયેલા સંજોગો અને પરિસ્થિતિને અનુરૂપ કાયદાનું સરળીકરણ કરવા અને વહીવટમાં પારદર્શકતા વધારવા માટે નવીનીકરણ કરવું જરૂરી છે. જેથી પ્રમાણિક કરદાતા પ્રામાણિક કરદાતાને પ્રોત્સાહન મળી રહે, કરચોરોને ભય બની રહે તથા અધિકારીઓ યોગ્ય, સ્પષ્ટ અને ઝડપી નિર્ણય લઇ શકે, તે તંદુરસ્ત વહીવટીતંત્ર માટે જરૂરી છે. આ વિચારને આગળ વધારવાનો આ બિલનો હેતુ છે. બિલથી 20 કલમ તથા અનુસૂચિ એકના આઠ આર્ટિકલ્સમાં મહત્ત્વના સુધારા કરાયા છે. 

તેમણે કહ્યું કે, હવે અવસાન પામેલી પુત્રીના વારસનો હક્ક રૂ.200ના સ્ટેમ્પ પેપરથી કમી થશે.આર્ટિકલ 49 (ક)માં થનારા સુધારા બાદ હવે વારસાગત/ વડિલોપાર્જિત મિલકતમાં અવસાન પામેલી પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતા હક્ક કમીના લેખ ઉપર હાલમાં લેવાતી 4.90 ટકા ડયુટીના બદલે ફક્ત ર00 રૂપિયાના સ્ટેમ્પ ઉપર હક્ક કમી થઇ શકશે. એટલું જ નહીં, લોન પરની સ્ટેમ્પ ડયુટીમાં 80 ટકા ઘટાડો થશે. આર્ટિકલ 6(1)માં સુધારો થતાં લોનના સંબંધે ગીરો લેખ માટેની ડયુટીમાં 80 ટકા ઘટાડો કરવામાં આવ્યો છે. પરિણામે, હવે રૂ. 1 કરોડ સુધીની લોન મેળવવા માટે 0.ર5 ટકા લેખે ભરવાના થતાં રૂ. 25000ની ડયુટી ઘટીને વધુમાં વધુ રૂ. 5000 થશે. જેથી ઘરના ઘરનું સ્વપ્ન જોતાં મધ્યમ વર્ગને હાઉસિંગ લોનમાં અને નાના ઉદ્યોગકારોને પોતાના ઉદ્યોગો સ્થાપવા માટે લોન મેળવવામાં ફાયદો થશે. ગીરોમુક્તિ લેખ તથા ભાડાપટ્ટા લેખ કરવા માટે સબ રજિસ્ટ્રાર કચેરી સુધી જવાના બદલે ઘરેબેઠાં ઇ-રજિસ્ટ્રેશનની સુવિધા અપાશે. તે માટે ઈ-રજિસ્ટ્રેશન સુવિધા ટૂંક સમયમાં ઉપલબ્ધ કરવામાં આવશે. આ ઉપરાંત ધિરાણ દસ્તાવેજો પર હવે બેંકો, નાણાં સંસ્થાઓએ સ્ટેમ્પ ડયુટી ભરવી પડશે. કાયદામાં કોણે સ્ટેમ્પ ડયૂટી ભરવી તે અંગે સ્પષ્ટ જોગવાઇ હોવા છતાં, કેટલીક ખાનગી નાણાકીય સંસ્થાઓ કે બેંકો દ્વારા કોણ સ્ટેમ્પ ડયુટી ભરશે એવા ઉલ્લેખ વિનાના દસ્તાવેજો કરતી હતી. આવા દસ્તાવેજો ઉપર યોગ્ય સ્ટેમ્પ ડયૂટી ભરપાઇ કર્યા સિવાય ધિરાણ કરવું તથા આવા દસ્તાવેજો તપાસણી માટે રજૂ ન કરવાની ઘટનાઓ બનતી હતી. જેની સામે નવી કલમ 30(ક) ઉમેરીને મોર્ગેજના લેખ ઉપર ડયુટી ભરપાઈ કરવાની બેંકોની જવાબદારી નક્કી કરવાની જોગવાઈ આ બિલમાં કરવામાં આવી છે. જેનાથી સામાન્ય માણસને લાભ થશે અને બેંકો દ્વારા લોન આપતી વખતે જ યોગ્ય સ્ટેમ્પ ડયુટી ભરપાઇ કરવામાં આવશે.

તેમણે એમ પણ કહ્યું કે, સ્ટેમ્પ ડયુટી ભરવા માટે હવે 60 દિવસનો સમય મળશે. સાથે સાથે, ઓછી સ્ટેમ્પ ડયુટી કે ચોરીના કિસ્સામાં દંડની રકમ નિયત કરાઇ છે. કલમ-39 (1)(ખ) મુજબ હાલમાં ઓછી સ્ટેમ્પ ડયુટી ભરાયેલી હોય અથવા તો સ્ટેમ્પ ડયુટીની ચોરીના કિસ્સામાં ઓછામાં ઓછા પાંચ રૂપિયા અને વધુમાં વધુ ખૂટતી ડયુટીના દસ ગણા સુધીનો દંડ વસૂલવાની જોગવાઈ છે. જેના કારણે હુકમોમાં એકસૂત્રતા ન જળવાતી હોવાના અને આ જોગવાઇનો દૂરુપયોગ થવાની શક્યતા રહેતી હતી. જેના સ્થાને હવે આ પ્રકારના કિસ્સામાં જો અરજદાર સામેથી સ્ટેમ્પ ડયુટી ભરવા તૈયાર થાય, તો ખૂટતી સ્ટેમ્પ ડયુટીના બે ટકા લેખે વધુમાં વધુ ચાર ગણા સુધી અને જો તંત્ર દ્વારા નોટિસ મળ્યા બાદ ડયુટી ભરવા આવે, તો ખૂટતી ડયુટીના ત્રણ ટકા લેખે વધુમાં વધુ 6 ગણા સુધી વસૂલવાની જોગવાઇ કરવામાં આવી છે. આ જ પ્રકારે, જો અધિકારી દ્વારા નોટિસ મળ્યા બાદ અરજદાર ભરે તો રૂ.2 લાખ ખૂટતી સ્ટેમ્પ ડયુટીના પ્રતિ માસ 3 ટકા લેખે વધુમાં વધુ ખૂટતી સ્ટેમ્પ ડયુટીના 6 ગણા એટલે કે રૂ.12 લાખ દંડ થઇ શકશે. આમ ખૂટતી સ્ટેમ્પ ડયુટી પર દંડની મર્યાદા નક્કી કરવાથી નિર્ણયોમાં એકસૂત્રતા આવશે અને પ્રજાને હાલાકી ઓછી પડશે.

તેમણે ઉમેર્યું હતું કે, શેર ટ્રાન્સફરથી માલિકી હક્ક મેળવનારને સ્ટેમ્પ ડયુટી ભરવી પડશે. બદલાતી પરિસ્થિતિ અને નવા કાયદાઓનો લાભ લઇ ઘણી કંપનીઓ માલિકી હક્કની તબદિલી આ કાયદાના દાયરામાં ન આવે તે રીતે કરે છે અને સ્ટેમ્પ ડયુટી ભરવામાંથી છટકી જાય છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક