અમદાવાદ,
તા.27 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1થી 3 માર્ચ દરમિયાન ગુજરાતના પ્રવાસે હતા. તેમના
આ પ્રવાસના છેલ્લા દિવસે એટલે કે 3 માર્ચના રોજ તેઓએ સાસણગીર સ્થિત જંગલ સફારી ખાતે
વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી કરી હતી. તેમણે ગીર અભયારણ્યમાં સિંહ દર્શનનો આનંદ માણ્યો
હતો તેમજ ઓપન જીપમાં સવાર થઈને કેમેરા સિંહોના ફોટો પણ પાડ્યા હતા. વડાપ્રધાનની આ
મુલાકાત પછી સાસણગીર જંગલ સફારીમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો છે. વડાપ્રધાનની મુલાકાત
પહેલાના 20 દિવસમાં ગીરમાં પ્રવાસીઓની સંખ્યા 49,681 હતી, જે તેઓની મુલાકાત પછીના
20 દિવસમાં વધીને 59,009 થઈ ગઈ છે, જે પ્રવાસીઓની સંખ્યામાં 18.8% નો વધારો દર્શાવે
છે.
વડાપ્રધાનની
ગીર જંગલ સફારીની મુલાકાતના પગલે પોરબંદર જિલ્લામાં સ્થિત બરડા વન્યજીવ અભયારણ્ય, જે
એશિયાઇ સિંહોનું બીજું નિવાસસ્થાન કહેવાય છે, તેમાં પણ હવે પ્રવાસીઓનો રસ જાગૃત થયો
છે. તેના કારણે, ફેબ્રુઆરી, 2025ની સરખામણીએ માર્ચ, 2025માં બરડા સફારીની મુલાકાત લેનારા
પ્રવાસીઓની સંખ્યા બમણી થઈ છે. ફેબ્રુઆરી મહિના દરમિયાન બરડા સફારીની મુલાકાતે 108
પ્રવાસી આવ્યા હતા, જેની સામે માર્ચ મહિનામાં 215 પ્રવાસીએ બરડા સફારીની મુલાકાત લીધી
છે.
અત્યારસુધી જૂનાગઢ સ્થિત ગીર અભયારણ્ય
એશિયાઇ સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન હતું. પોરબંદર જિલ્લામાં આવેલું બરડા વન્યજીવ અભયારણ્ય
ગીર સંરક્ષિત વિસ્તાર સાથે આવાસસ્થાનો, ભૌગોલિક ક્ષેત્ર અને ભૂમિપ્રદેશની દૃષ્ટિએ ખૂબ
જ સમાનતા ધરાવે છે. બરડા અભયારણ્ય સિંહ જનીનપૂલના સંરક્ષણ માટે ખૂબ જ મહત્વનું સ્થળ
છે. ઐતિહાસિક રીતે તે સિંહોના નિવાસસ્થાન તરીકે જાણીતું હતું. બરડા અભયારણ્યમાં સિંહોનું
જૂથ છેલ્લે 1879માં જોવા મળ્યું હતું પરંતુ, પછીથી આ વિસ્તારમાં સિંહો લુપ્ત થયા હતા.
...
અને સિંહો એક સદી પછી તેમના
ઐતિહાસિક
નિવાસસ્થાનમાં પાછા ફર્યા
સિંહોને
તેમના ઐતિહાસિક રહેઠાણોમાં પુન:સ્થાપિત કરવા માટે ગુજરાત વન વિભાગે બરડા વન્યજીવ અભયારણ્યમાં
આહાર શૃંખલાના પાયાને પુન:સ્થાપિત કરવાનો કાર્યક્રમ શરૂ કર્યો. આ કાર્યક્રમ ચિતલ અને
સાબરના સંવર્ધન અને પુન:સ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે સિંહો માટે જરૂરી શિકાર
પ્રજાતિઓ છે. આ સંરક્ષણ પ્રયાસોને 19 જાન્યુઆરી, 2023ના રોજ મોટી સફળતા મળી, જ્યારે
બરડા વન્યજીવ અભયારણ્યમાં એક એશિયાઇ સિંહની હિલચાલ નોંધવામાં આવી. સિંહો એક સદી પછી
તેમના ઐતિહાસિક નિવાસસ્થાનમાં પાછા ફર્યા. બરડા સ્થિત અભયારણ્યમાં 8 સિંહોની વસ્તી
સ્થાયી થયા પછી તેને સિંહોના સેકન્ડ હોમ એટલે કે બીજા નિવાસસ્થાન તરીકે વિકસિત કરવાનું
આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં, બરડા વન્યજીવ અભયારણ્યમાં એશિયાઇ સિંહોના કુદરતી
ફેલાવા અને સફળ સંવર્ધનને કારણે, બરડા આજે સિંહોના બીજા નિવાસસ્થાન તરીકે ઉભરી આવ્યું
છે. આજે બરડા વન્યજીવ અભયારણ્યમાં 17 સિંહ વસવાટ કરે છે, જેમાં 1 નર, 5 માદા અને 11 બાળાસિંહ છે.