એપ્રિલમાં
મણે રૂ. 500-600ની તીવ્ર વધઘટ નોંઘાઇ
રાજકોટ,તા.23
(ફૂલછાબ ન્યૂઝ) જીરુંની બજારમાં તેજી-મંદીની ધમાચકડી મચી જતા કિસાનો મૂંઝવણમાં મૂકાય
ગયા છે. એપ્રિલના આરંભે તેજીની પૂરપાટ ગતિ પછી બજારમાં હવે કડાકા બોલી રહ્યા હોય મોટી
તેજીની આશામાં બેઠેલા ખેડૂતો મંદીની હવા ખાઇ રહ્યા છે. એપ્રિલમાં કટકે કટકે મણે રૂ.
500-600 વધ્યા હતા. જોકે બધો જ સુધારો ત્રણેક દિવસમાં ધોવાઇ ગયો છે. બજાર હતી ત્યાં
જ પહોંચી ચૂકી છે.
માર્ચ
અંત પછી માર્કેટ યાર્ડ ખૂલ્યા ત્યારે ઉંઝામાં બેસ્ટ જીરુંનો ભાવ રૂ. 4400-4500 હતા.
14 એપ્રિલ સુધી તેજીનો દોર ચાલતા રૂ. 5000 સુધીના ભાવ થયા હતા. જોકે એકાએક મંદીની શરૂઆત
થતાં બે દિવસમાં ભાવ તૂટીને ફરી રૂ. 4450-4500એ આવી ગયા છે અને કિસાનો તીવ્ર વધઘટ જોતા
રહી ગયા છે.
સીંગાપોર
ક્વોલિટી 1 ટકો ફોરેન મેટર કંડીશનનો ભાવ નિકાસ વેપાર માટે આદર્શ ગણવામાં આવે છે. એમાં
રૂ. 4300થી વધીને બજાર હાલમાં જ રૂ. 5100 સુધી પહોંચી હતી. જોકે અત્યારે રૂ. 4600 થઇ
ગયા છે. હજુ ઘટાડાની શક્યતા દેખાય રહી હોવાનું બ્રોકરોએ કહ્યું હતું. ઉંઝાના વેપારીઓએ
જણાવ્યું કે, નિકાસ બજારમાં અગાઉ થોડી ઘરાકી હતી પણ મહિનો આગળ ધપતો ગયો તેમ માગ હળવી
થતી રહી છે. મસાલા ઉત્પાદકોની માગ પણ એપ્રિલ પૂરો થવા આવતા હવે હળવી થતી જાય છે. બીજી
તરફ આવકનું જોર બરકરાર છે.
સમગ્ર
ગુજરાતમાં રોજ 45-50 હજાર ગુણીની આવક થાય છે. જે માર્ચ અંત પૂર્વે એક વખત 1 લાખ ગુણી
ઉપર પહોંચી હતી. જોકે એપ્રિલમાં સરેરાશ 50 હજાર ગુણી આવક થઇ છે. જોકે આવક પૂરતી પણ
ખપત નથી એટલે મંદી છે.અધૂરામાં પૂરું વાયદામાં પણ તેજીનો સટ્ટો પૂરો થઇ જતા બજાર તૂટી
છે.
જીરુંનું
ઉત્પાદન ચાલુ વર્ષમાં 85-90 લાખ ગુણી આસપાસ થયું હોવાનો અંદાજ છે. જેમાંથી અંદાજિત
30-32 લાખ ગુણીની આવક પૂરી થઇ ચૂકી છે. હવે
નિકાસની માગ વધે નહીં તો તેજી કરવી મુશ્કેલ બનશે એમ અનુભવીઓ કહે છે. વાયદા બજારમાં
જીરુંનો ભાવ રૂ. 25 હજાર મહિનાના મધ્યમાં થયા પછી અત્યારે રૂ. 23200 સુધી નીચે આવી
ગયો છે.