• રવિવાર, 17 મે, 2026

સોરઠના કેસર બેલ્ટમાં કેરીનું ત્રણ લાખ ટનનું ચિક્કાર ઉત્પાદન કેરીની સોડમ અમેરિકા, કેનેડા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા પહોંચી

જૂનાગઢ, તા.16: જૂનાગઢ અને ગીર વિસ્તારની ગીર કેસર કેરી ગુજરાતને પણ આગવી ઓળખ અપાવે છે. તેની અનોખી મીઠાશ, આકર્ષક કેસરિયા રંગ, સુગંધ અને રસાળ પલ્પને કારણે આ કેરી દેશ-વિદેશમાં ખૂબ લોકપ્રિય બની છે. પરિણામે સમંદર પાર પણ ધૂમ મચાવે છે. કેસર બેલ્ટમા અંદાજે ત્રણ લાખ મેટ્રિક ટનનું ઉત્પાદન થશે.

ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લાના ખેડૂતો વર્ષોથી પરંપરાગત રીતે કેસર કેરીનું ઉત્પાદન કરતા આવ્યા છે, જેના કારણે આ વિસ્તાર કેસર બેલ્ટ તરીકે પણ ઓળખાય છે. તેમાં પણ કેસરને વર્ષ 2011માં ભૌગોલિક સંકેત (જીઓગ્રાફીકલ ઈન્ડીકેશન-જી.આઈ. ટેગ) પ્રાપ્ત થયો. આમ, ગીર કેસર નામને કાનૂની સુરક્ષા મળી છે અને ગીર વિસ્તાર સિવાય અન્યત્ર ઉત્પન્ન થતી કેરીને આ નામથી વેચી શકાતી નથી.

ગીર કેસર કેરીનું ઉત્પાદન છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપથી વધ્યું છે. ગુજરાતમાં અંદાજે 44,000 હેક્ટર વિસ્તારમાં કેસર કેરીની ખેતી થાય છે અને સરેરાશ 3.15 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થાય છે. જેમા મુખ્યત્વે કેરી પકવતા જિલ્લાઓમા જૂનાગઢ જીલ્લામા 9510 હેક્ટર, ગીર સોમનાથ જીલ્લામા 19183 હેક્ટર, અમરેલી જીલ્લામા 8243 હેક્ટરમા વાવતેર છે, જેનુ સરેરાસ અંદાજીત ઉત્પાદન 2.60 લાખ મેટ્રીક ટન ઉત્પાદન થાય છે. સૌરાષ્ટ્ર વિસ્તારમા તાલાળા માર્કેટ યાર્ડ ગીર કેસરનું સૌથી મોટું વેપાર કેન્દ્ર ગણાય છે, જ્યાં દર વર્ષે લાખો બોક્સ કેરીની હરાજી થાય છે. કેસર કેરીનું મુખ્ય સિઝન એપ્રિલ થી જૂન સુધી ચાલે છે.

ગીર કેસર કેરીની આંતરરાષ્ટ્રીય માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. અમેરિકા, કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને મધ્ય પૂર્વના દેશોમાં ગીર કેસરની નિકાસ કરવામાં આવે છે. ગુજરાતમાંથી વર્ષ 2025-26 (એપ્રીલ સુધી) અંદાજે 535 મેટ્રીક ટન, વર્ષ 2024-25 દરમિયાન આશરે 856 મેટ્રિક ટન, વર્ષ 2023-24 દરમિયાન આશરે 689 મેટ્રિક ટન કેરીની નિકાસ થઈ હતી, જેમાં ગીર કેસરનો મહત્વપૂર્ણ હિસ્સો રહ્યો હતો. જે પૈકી અમેરીકા અને ઓસ્ટ્રેલીયા જેવા દેશો કે જ્યા રેડીયેશન પ્રક્રીયા જરૂરી છે તે માટે બાવળા ખાતે સ્થાપિત રેડિયેશન પ્રોસાસિંગ યુનિટ દ્વારા લગભગ ગત વર્ષમાં અંદાજે 224 મેટ્રિક ટન કેસર કેરીને પ્રક્રિયા કરી વિદેશમાં મોકલવામાં આવી હતી. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી કુલ 3000 મેટ્રિક ટનથી વધુ કેરીની નિકાસ નોંધાઈ છે.

ગીર કેસર કેરીની નિકાસને વધુ પ્રોત્સાહન આપવા માટે કેશોદ એરપોર્ટ ખાતે વિશેષ કાર્ગો અને એક્સપોર્ટ હબ વિકસાવવાની યોજના હાથ ધરાઈ છે. આ સુવિધાથી ખેડૂતોને મુંબઈ અથવા અન્ય શહેરોમાં કેરી મોકલવાની જરૂરિયાત ઓછી થશે અને ઓછા ખર્ચે સીધી નિકાસ શક્ય બનશે.

જે નિકાસકાર/ખેડૂતો દેશોમાં ફળ અને શાકભાજી નિકાસ કરવા માંગતા હોય તો તેઓએ પોતાની વાડી/ખેતરનું અપેડાના ઇંજ્ઞાિશિંક્ષયાિં પોર્ટલ પર ફાર્મ રજીસ્ટ્રેશન કરાવવાનુ ફરજીયાત છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક