• શનિવાર, 27 જુલાઈ, 2024

જસદણના દેવપરા બીલિયા મહાદેવ મંદિરનાં મહંતની ભેદી સંજોગોમાં લાશ મળી આત્મહત્યા કે લૂંટના ઈરાદે હત્યા ? ઝાડ સાથે ફાંસો ખાધેલો મૃતદેહ મળતા શોક

જસદણ, તા. 1 : જસદણના દેવપરા ગામની વીડીમાં પાંડવોએ જે મહાદેવની સ્થાપના કરી હતી તેવા બીલિયા મહાદેવ મંદિરના મહંત ગણેશગિરિબાપુની મંદિરના પટાંગણમાં આવેલ બીલાના વૃક્ષ સાથે દોરડું બાંધી ગળાફાંસો ખાધેલી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા સેવકગણોમાં શોક ફળી વળ્યો હતો. મહંતની લૂંટ કે ચોરીના ઈરાદે હત્યા કરાઈ છે કે પછી આત્મહત્યા કરી છે તેનું સાચું કારણ જાણવા તપાસ હાથ 

ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ, જસદણ તાલુકાના દેવપરા ગામની વીડીમાં આવેલ ઐતિહાસિક બીલિયા મહાદેવની જગ્યામાં આશરે 30 વર્ષથી રહેતા અને સેવાપૂજા કરતા ગણેશગિરિબાપુની મંદિરના પટાંગણમાં આવેલ બીલીના વૃક્ષ સાથે દોરડું બાંધી ગળાફાંસો ખાધેલી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. જો કે લટકતી લાશની નીચે એક પ્લાસ્ટિકની ખુરશી પણ આડી પડેલી જોવા મળી હતી. આ બનાવમાં વહેલી સવારે મંદિરે દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓએ મહંતને લટકતા જોઈને તેમણે તાત્કાલિક ગામના સરપંચ શિલ્પાબેન સદાદીયાના પતિ વિનુભાઈને જાણ કરતા વિનુભાઈ તેમજ ગામના લોકો તાત્કાલિક મંદિરે દોડી ગયા હતા અને આ ઘટનાની જાણ જસદણ પોલીસને કરતા પોલીસે પણ ઘટના સ્થળે દોડી જઈ મહંતના મૃતદેહને પી.એમ.અર્થે જસદણની સરકારી હોસ્પિટલે ખસેડી આગળની તજવીજ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, અંદાજે 30 વર્ષ થયા મહાદેવની સેવા પૂજા કરતા ગણેશગીરીબાપુ અત્યંત વિનમ્ર અને સરળ સ્વભાવના હતા. આજુબાજુના ગામના લોકોના જણાવ્યા મુજબ ગણેશગિરિબાપુએ ક્યારેય કોઈની પાસે હાથ લાંબો કર્યો ન હતો. તેઓ ક્યારેક કોઈની પાસે કશું માગતા નહીં અને મહાદેવના દર્શને આવતા સેવકગણ ભેટ-પૂજા કરતા હોય તેમાંથી તેમનો જીવન નિર્વાહ ચલાવતા હતા. બીલિયા મહાદેવની આ ઐતિહાસિક જગ્યામાં શ્રાવણ સમા દરમિયાન અનેક શ્રદ્ધાળુઓ મહાદેવની સેવા પૂજા કરવા આવતા હોય છે. મંદિરની આજુબાજુ બહુ બધા બીલીના ઝાડ હોય મંદિરનું નામ જ બીલીયા મહાદેવ પડી ગયું છે. હાલ બીલિયા મહાદેવ મંદિરના મહંતના મૃતદેહને મંદિરના પટાંગણમાં જ ગ્રામજનો અને સેવકગણ દ્વારા શાત્રોક્ત વિધિ સાથે સમાધી આપવામાં આવી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક