• ગુરુવાર, 23 જુલાઈ, 2026

દેશમાં ખરીફ પાકની વાવણી ઉપર સંકટ !

નબળા ચોમાસાના કારણે ગત વર્ષની તુલનાએ વાવણીનો વિસ્તાર 42 લાખ હેક્ટર સુધી ઘટયો

નવી દિલ્હી, તા. 22 : દેશના ઘણા હિસ્સામાં મહત્વપૂર્ણ ખરીફ પાકની વાવણી ઉપર વરસાદની કમીની અસરે ચિંતા વધારી છે. ભારતીય હવામાન વિભાગના નવા રિપોર્ટ અનુસાર સૌથી વધારે કમી પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતમાં નોંધવામાં આવી છે, જ્યાં 21 જુલાઈ સુધીમાં સરેરાશથી 32 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. ગત વર્ષની તુલનાએ ખરીફ પાકની વાવણીના વિસ્તારમાં 6.04 ટકા એટલે કે 42.28 લાખ હેક્ટરની કમી નોંધાઈ છે.

ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદની કમી 21 જુલાઈ સુધીમાં 21 ટકા રહી હતી, ખરીફ પાકની વાવણીનું ક્ષેત્ર ગત વર્ષથી લગભગ 42 લાખ હેક્ટર ઘટયું છે. ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન 1 જૂનથી 21 જુલાઈ 2026 વચ્ચે વરસાદની કમી 21 ટકાએ રહી હતી. કૃષિ મંત્રાલયના આંકડા અનુસાર 17 જુલાઈ સુધીમાં દેશભરમાં ખરીફ સિઝન દરમિયાન કુલ 658.19 લાખ હેક્ટર ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પાકની વાવણી થઈ છે. જે ગયા વર્ષની સરખામણીએ 42.28 લાખ હેક્ટર ઓછી છે. ગયા વર્ષે 17 જુલાઈ સુધીમાં દેશભરમાં 700.47 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકની વાવણી કરવામાં આવી હતી.

કઠોળની વાવણીમાં સૌથી વધારે 12.29 લાખ હેક્ટરની કમી રેકોર્ડ થઈ છે. જ્યારે તેલીબિયાંની વાવણીમાં 8.63 લાખ હેક્ટર વિસ્તારનો ઘટાડો નોંધાયો છે. ચોખાની વાવણીમાં 1.41 લાખ હેક્ટરની કમી છે. જે સામાન્ય રીતે થોડી રાહતની વાત છે. 

ઇ-પેપરના નવા શુલ્ક