પાર્ટી વિરોધી નિવેદનબાજી બદલ કાર્યવાહી : પ્રતિક્રિયામાં કહ્યુ, રામ અને રાષ્ટ્ર પર કોઈ સમાધાન નહીં
નવી દિલ્હી, તા.11 : આચાર્ય પ્રમોદ કૃષ્ણમને કોંગ્રેસે પાર્ટીમાંથી બહાર કર્યા છે. આધ્યાત્મિક ગુરુ સામે પાર્ટી વિરુદ્ધ નિવેદનબાજી કરવાના આરોપમાં શિસ્તભંગના પગલાં લેવાયા છે. કોંગ્રેસમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા બાદ આચાર્ય પ્રમોદ કૃષ્ણમે પહેલી પ્રતિક્રિયામાં સોશિયલ મીડિયા એકસ પર રાહુલ ગાંધીને ટેગ કરતાં લખ્યુ કે ‘રામ અને રાષ્ટ્ર પર સમાધાન ન કરી શકાય.’ આ સિવાય તેમણે એલાન કર્યુ કે હું આજીવન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે ઉભો રહીશ.
ઉલ્લેખનીય છે કે કલ્કિ ધામના પીઠાધીશવર આચાર્ય પ્રમોદે ર019 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકીટ પર લખનઉથી ઉતર્યા હતા પરંતુ હારી ગયા હતા. તેમણે તાજેતરમાં અયોધ્યામાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ અંગે વડાપ્રધાન મોદીના વખાણ કર્યા હતા. તેઓ તાજેતરમાં વડાપ્રધાન મોદીને મળ્યા હતા અને તેમને અયોધ્યાના મહોત્સવમાં આમંત્રણ પણ હતું. તેમણે અયોધ્યાના મહોત્સવમાં સામેલ ન થવાના કોંગ્રેસના નિર્ણયને વખોડયો હતો. તેમણે અગાઉ પ્રિયંકા ગાંધી અને સચિન પાયલટ વિશે પણ સવાલ ઉઠાવ્યા હતા.
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે એક નિવેદન જાહેર કરી કહ્યંy કે અનુશાસનહીનતા અને પાર્ટી વિરુદ્ધ વારંવાર નિવેદન આપવાની ફરિયાદોને ધ્યાને લઈ કોંગ્રેસ પ્રમુખે પ્રમોદ કૃષ્ણમને તાત્કાલિક અસરથી 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાના યુપી કોંગ્રેસ સમિતિના પ્રસ્તાવને મંજૂરી આપી છે .