• શનિવાર, 21 સપ્ટેમ્બર, 2024

પન્નૂની હત્યાનાં કથિત કાવતરામાં અમેરિકી અદાલતનું ભારતને સમન્સ

ભારત સરકાર, ડોભાલ, ગોયલ અને નિખિલ ગુપ્તાને 21 દિવસમાં જવાબ દાખલ કરવા કહેવાયું : ભારતે તમામ આરોપોને નિરાધાર ગણાવ્યા

 આનંદ કે.વ્યાસ

નવી દિલ્હી, તા.19: ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નૂએ પોતાની હત્યાનાં કાવતરાનો આરોપ લગાવીને સિવિલ કેસ દાખલ કર્યા બાદ એક અમેરિકી અદાલત તરફથી ભારત સરકારને સમન્સ જારી કરવામાં આવ્યું છે.

ન્યૂયોર્કની સાઉથ ડિસ્ટ્રિક્ટ કોર્ટે જારી કરેલા સમન્સમાં ભારત સરકાર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, પૂર્વ રો પ્રમુખ સામંત ગોયલ, રો એજન્ટ વિક્રમ યાદવ અને ભારતીય કારોબારી નિખિલ ગુપ્તાનાં નામ સામેલ છે. આ સમન્સમાં 21 દિવસની ભીતર જવાબ દાખલ કરવાં કહેવામાં આવ્યું છે.

વિદેશ મંત્રાલય તરફથી પોતાની પ્રથમ પ્રતિક્રિયામાં કહેવામાં આવ્યું છે કે, આ ચિંતાનો વિષય છે અને ભારતે ઉચ્ચસ્તરીય તપાસ શરૂ કરી દીધી છે. જ્યાં સુધી એક વ્યક્તિ વિરુદ્ધ અમેરિકી અદાલતમાં દાખલ કેસનો સવાલ છે તો એક ભારતીય અધિકારીનું નામ આમાં જોડવામાં આવે તે ચિંતાની બાબત છે. ભારત સરકાર સ્પષ્ટ કહે છે કે, આવી કાર્યવાહી ભારત સરકારની નીતિથી વિપરિત છે.  વિદેશ મંત્રાલયે ગુરુવારે ખાલિસ્તાની સમર્થક આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ દ્વારા અમેરિકામાં ભારત સરકાર વિરુધ્ધ હત્યાના પ્રયાસ અંગે દાખલ કરાયેલા કેસને અનુચિત અને નિરાધાર આરોપ ગણાવીને ફગાવી દીધો છે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે હવે જ્યારે કેસ દાખલ થઇ ગયો છે, એવામાં અંતનિર્હિત સ્થિતી અંગે ભારતના વિચાર બદલાશે નહીં.

 વિદેશ સચિવે વડાપ્રધાન મોદીના અમેરિકા પ્રવાસ પહેલા ગુરુવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે જેમ અમે પહેલા જ સ્પષ્ટતા કરી દીધી છે કે આ આરોપો નિરાધાર અને અનુચિત છે. હવે અત્યારે વિશેષ કેસ નોંધાયો હોવા છતાં ભારતનું આ અંગેનું વલણ બદલાશે નહીં. હું માત્ર તમારું ધ્યાન વિશેષ કેસ પાછળના શખસ તરફ આકર્ષિત કરી રહ્યો છું. પન્નુ એક ભારત નામાંકિત આતંકવાદી છે, જે કેનેડા અને અમેરિકાનું નાગરિકત્વ ધરાવે છે. હું એ તથ્યને પણ રેખાંકિત કરીશ કે એ જે સંગઠનનું પ્રતિનિધિત્વ કરે છે તે એક ગૈરકાયદે સંગઠન છે. આ કેસ ભારતની સંપ્રભુતા અને ક્ષેત્રીય અંખડતાને બાધિત કરવાના હેતુથી રાષ્ટ્રવિરોધી અને વિધ્વંસક ગતિવિધિઓમાં સામેલ હોવાને કારણે કરાયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક