• શનિવાર, 27 જુલાઈ, 2024

આજથી સંસદનું વિશેષ સત્ર: મોદી સરપ્રાઈઝ આપશે?.

કાલથી નવી સંસદમાં કામગીરી પહેલા ગજ દ્વાર ઉપર ઉપરાષ્ટ્રપતિનાં હાથ ધ્વજારોહણ કરાયું

            મહિલા અનામતથી માંડીને કાશ્મીરનાં પૂર્ણ રાજ્યનાં દરજ્જાની બહાલી સહિતની અટકળો: વિપક્ષની એકતાની પહેલી પરીક્ષા

નવી દિલ્હી, તા.7: ભારતનાં સંસદીય ઈતિહાસમાં આવતીકાલનો દિવસ એક નવાં પ્રકરણનો આરંભ કરવા જઈ રહ્યો છે. આવતીકાલથી જૂના સંસદ ભવનમાં શરૂ થતાં વિશેષ સત્રમાં ગણેશ ચતુર્થીથી નવા સંસદ ભવનમાં કામગીરી તબદિલ થઈ જશે. એ પહેલા આજે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાનાં સભાપતિ જગદીપ ધનખડે નવા સંસદ ભવન ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ વિશેષ સત્રનો એજન્ડા સરકારે જાહેર કર્યો હોવા છતાં કામકાજનાં દિવસો દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી કોઈ આશ્ચર્યજનક પહેલ કરવામાં આવે તેવી અટકળો વચ્ચે આજે આ પાંચ દિવસની કામગીરી સુચારુ   ઢબે ચાલી શકે તે માટે સરકારે સત્રની પૂર્વ સાંજે સર્વપક્ષીય બેઠક પણ બોલાવી હતી. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વિશેષ સત્રમાં કોઈ ચોંકાવનારી સરપ્રાઈઝ આપે છે કે નહીં તેનાં ઉપર બધાની નજર મંડાયેલી છે.

સોમવારથી શરૂ થતાં સંસદનાં વિશેષ સત્રનાં એક દિવસ અગાઉ આજે નવા સંસદ ભવનનાં ગજ દ્વારનાં શીર્ષ ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ અવસરે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સીઆરપીએફનાં સંસદ સુરક્ષા ટૂકડી દ્વારા ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ધનખડ અને બિરલાએ આ પ્રસંગે ફોળની ટોકરી આપીને સુરક્ષાકર્મીઓનું સન્માન પણ કર્યુ હતું. ઉપરાષ્ટ્રપતિ ધનખડ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો તે પ્રસંગે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ, સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી, રાજ્યસભાનાં ઉપસભાપતિ હરિવંશ, સંસદીય કાર્ય રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલ, રાજ્યસભા અને લોકસભામાં વિભિન્ન પક્ષોનાં નેતાઓ અને ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યાં હતાં. જો કે કોંગ્રેસનાં અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષનાં નેતા મલ્લિકાર્જુન ખડગે આ ધ્વજારોહણ સમારોહમાં હાજર રહ્યા નહોતાં. તેમણે ખુબ જ મોડેથી આ કાર્યક્રમનું નિમંત્રણ મળ્યાની નિરાશા પણ દર્શાવી હતી. ખડગેએ રાજ્યસભાનાં મહાસચિવને પત્ર લખીને પોતાને 1પમી સપ્ટેમ્બરે સાંજે છેક નિમંત્રણ મળ્યું હોવાનું કહીને નિરાશા દર્શાવી હતી.

આ વિશેષ સત્ર માટે આપવામાં આવેલા ઔપચારિક એજન્ડામાં મુખ્ય વિષય સંવિધાન સભાથી શરૂ કરીને સંસદની 7પ વર્ષની યાત્રા ઉપર ખાસ ચર્ચાનો છે. આ ઉપરાંત મુખ્ય ચૂંટણી કમિશનરની નિયુક્તિની પ્રક્રિયામાં ફેરફાર માટેનાં વિધેયકને પણ ચર્ચા માટે નોંધાવવામાં આવ્યું છે. આ સીવાય સરકારને સંસદની કામગીરીનાં એજન્ડામાં સામેલ ન હોય તેવા કાયદા કે વિષય રજૂ કરવાનો અધિકાર પણ છે. જેને પગલે મહિલા અનામત, સમાન નાગરિક સંહિતાથી લઈને અનેક મુદ્દે ચર્ચાનું બજાર ગરમ છે. આ ઉપરાંત પછાત જાતિ માટે અનામત અંગે રોહિણી આયોગનાં રિપોર્ટ ઉપર પણ કોઈ નિર્ણય થઈ શકે છજ્તો આવી જ રીતે જમ્મુ-કાશ્મીરનો પૂર્ણ રાજ્યનો દરજ્જો બહાલ કરવામાં આવે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત થઈ રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કંઈ સરપ્રાઈઝ આપે છે કે નહીં તેનાં ઉપર સૌની મીટ મંડાયેલી છે.

સામે પક્ષે વિપક્ષો પણ આ પાંચ દિવસનાં ટૂંકા સત્રમાં સરકારને ઘેરવા માટેની તક ઝડપવાનો પ્રયાસ કરશે. આમાં મણિપુરની હિંસાનો મુદ્દો ફરીથી ઉછળી શકે છે. તો ટીડીપી પોતાનાં નેતા ચંદ્રાબાબુનાયડુની ધરપકડનાં મુદ્દે હંગામો મચાવી શકે છે. કોંગ્રેસ અને તૃણમૂલ ચોમાસુ સત્રની માફક ફરીથી હિંડનબર્ગ વિવાદમાં સરકાર ઉપર હુમલો બોલાવવાનો પ્રયાસ કરી શકે છે. આ ઉપરાંત કોંગ્રેસ મહિલા અનામત મુદ્દાને પણ આગળ વધારે તેવી સંભાવના છે. પાંચ રાજ્યોની વિધાનસભાની અને આગામી વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા રચાયેલા વિપક્ષી ગઠબંધનની એકતા માટે પણ આ સત્ર પરીક્ષા સમાન બની રહેવાનું છે.

સંસદનાં સત્રના આગલા દિવસે આજે બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં બીજેડી અને બીઆરએસ સહિતના પ્રાદેશિક પક્ષો તરફથી મહિલા આરક્ષણ બિલ સંસદમાં રજૂ કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. કોંગ્રેસનાં સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું હતું કે, મોંઘવારી, બેરોજગારી, સામાજિક ઘર્ષણ અને મણિપુર સહિતનાં મુદ્દા પક્ષ તરફથી ઉઠાવવામાં આવશે. આજની આ બેઠકમાં સરકારનું પ્રતિનિધિત્વ રક્ષામંત્રી રાજનાથ સિંહ, લોકસભામાં ઉપનેતા અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને રાજ્યસભામાં ગૃહના નેતા પ્રહ્લાદ જોશીએ કર્યું હતું.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024