(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 12: અમદાવાદ કોર્પોરેશન દ્વારા આજે સવારથી જ ઇસનપુરમાં આંબા તળાવ પાસેના 160 જેટલા દબાણો દૂર કરીને 26305 ચોરસ મીટર જેટલી જમીન ખલ્લી કરવામાં આવી છે. આગામી દિવસોમાં તળાવમાંથી કાટમાળ દૂર કર્યા બાદ તળાવના વિકાસની કામગીરી પણ હાથ ધરાશે. જોકે સ્થાનિકોએ જણાવ્યું છે કે મકાનની સામે મકાન આપો. જ્યાં સુધી કોર્પોરેશન મકાન નહીં આપે ત્યાં સુધી અમે આ સ્થાન છોડીશું નહીં. કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં વિવિધ વિસ્તારોમાં તળાવોની જગ્યા આવેલી છે. જે જગ્યામાં ગેરકાયદેસર દબાણો થઈ ગયા છે જેથી દબાણો દૂર કરીને તળાવને ઊંડા કરવામાં આવશે. પૂર્વ વિસ્તારમાં ઇસનપુર મોની હોટલની ગલી પાસે આંબા તળાવ આવેલું છે. જેમાં 160થી વધારે નાના મોટા કાચા પાકા મકાનો બની ગયા હતા અને લોકો વર્ષોથી ત્યાં રહેતા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તળાવની જગ્યાનો કબજો લેવા નોટિસ આપી મકાનો ખાલી કરી દેવા સૂચના આપવામાં આવી હતી.
તળાવમાં રહેલા આશરે 160થી વધારે
ગેરકાયદેસર બાંધકામોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવ્યાં હતાં. મ્યુનિસિપલ
કોર્પોરેશન દ્વારા જે નાગરિકો પાસે વસવાટ કરતા હોવા અંગેના પુરાવા હશે તેના આધારે ફોર્મ
ભરાવીને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે. આ તળાવમાં આવેલા દબાણ અલગ અલગ બે બ્લોકમાં
વિભાજીત કરીને 02 હિટાચી મશીન, 01 જે.સી.બી મશીન, 15 બ્રેકર મશીન, 01 ગેસ કટર 35 ખાનગી
કોન્ટ્રાક્ટરના મજૂરો સહિતની મશીનરી/મેનપાવરની મદદથી આશરે 160 જેટલા કાચા/પાકા રહેણાક
તથા કોમર્શિયલ દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં હાથ ધરવામાં આવી હતી.