ફલ્લા, જામનગર, તા.13: જામનગર તાલુકાનાં સિક્કા-સરમત ગામના એક પરિવારના 11 જેટલા સભ્યો આજે વહેલી સવારે એક બોલેરોમાં બેસીને બોટાદ તરફ લગ્નનો ચાંદલો લઈને જતા હતા. તે દરમિયાન જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લાની જોખમી ગોલાઈ પાસે વહેલી સવારે 5-30 વાગ્યાના અરસામાં બોલેરો પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં માલાભાઈ પરમાર નામના 50 વર્ષના પ્રૌઢનું ગંભીર ઈજા થવાનાં કારણે મૃત્યુ નીપજ્યું હતું.
આ ઉપરાંત બોલેરોમાં બેઠેલા નાનજીભાઈ નારાયણભાઈ તેમજ દિનેશભાઈ પરમાર, મનોજભાઈ પરમાર, નારણભાઈ પરમાર વગેરેને નાની-મોટી ઈજા થઈ હોવાથી જુદી-જુદી 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતના બનાવની જાણ થતા પંચકોશી એ ડિવિઝનના પોલીસ સ્ટાફે ઘટના સ્થળે તેમજ જી. જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.