• શનિવાર, 14 જૂન, 2025

પોરબંદરના ત્રણ યુવાનને વિદેશ મોકલવાના બહાને છેતરપિંડી બે યુવાનોને વિદેશ મોકલ્યા પણ નોકરી અપાવી નહીં

પોરબંદર, તા.13: પોરબંદરના ત્રણ યુવાનોને વિદેશ મોકલવાની લાલચ આપી વર્ષ 2020 થી 2023 સુધીમાં આણંદના શખસે 1 લાખ 20 હજાર પડાવ્યા હતા પરંતુ ત્યાર બાદ તેને વિદેશ નહીં મોકલીને અને પૈસા પણ પરત નહીં આપીને આણંદના શખસને છેતરપિંડી કરી હતી તેથી અંતે તેની સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.

પોરબંદરના ખારવાવાડમાં આવેલા ઝૂ ફળિયામાં રહેતા અને પીજીવીસીએલમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર મજૂરી કામ કરતા અનિલ અર્જુનભાઈ મસાણી નામના યુવાને પોરબંદરના કીર્તિમંદિર પોલીસ મથકમાં ફરિયાદ કરી છે કે, વર્ષ 2016ની સાલમાં વર્કવિઝા મેળવીને ત્રણ વર્ષ માટે મલેશિયા ગયો હતો અને ત્યાં કંપનીમાં કામ કરતો હતો. તે દરમિયાન ગુજરાતના આણંદના વતની જીતેશ ઉર્ફે જીતેન્દ્ર મહેશ રાણા ગુજરાતી હોવાના નાતે સંપર્કમાં આવ્યો હતો. ડીસેમ્બર-2019માં બંને ઈન્ડિયા આવી ગયા હતા.

ત્યારબાદ ભારતમાં કોરોના મહામારી ફેલાઈ ગઈ હતી. આથી ફરિયાદી અનિલ પોરબંદર અને જીતેશ ઉર્ફે જીતેન્દ્ર આણંદ જતો રહ્યો હતો અને બંને વચ્ચે ફોન ઉપર સંપર્ક ચાલુ હતો. કોરોના મહામારી પુર્ણ થતા જીતેશે અનિલને ફોન પર ‘હું માણસોને વિદેશ મોકલવાનું કામ કરૂ છું જો તારે દુબઈ જવું હોય તો વાત કરજે. આથી ફરિયાદી અનિલે જણાવ્યું કે, તેના મોટાભાઈ શૈલેષભાઈ અર્જુન મસાણી તથા ખારવાવાડના જયેશ હીરાલાલ જુંગીને મોકલવાના છે.

તા.21-11-2020ના આણંદથી જીતેશ ઉર્ફે જીતેન્દ્ર મહેશ રાણા પોરબંદર આવ્યો હતો અને બંનેની કામગીરી પેટે 10-10 હજાર મળી 20 હજાર રૂપિયા આપ્યા હતા અને વિદેશ મોકલવા અંગેનો એક બાંહેધરીખત ઈ-સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરીને આપ્યું હતું. ત્યાર બાદ બંનેને દુબઈ મોકલાયા હતા.

એપ્રિલ-2023માં દુબઈથી અનિલ પરત આવી ગયો હતો અને જીતેશે રાણાએ કહ્યું કે ‘િવદેશ નોકરી કરવા માટે જવું હોય તો કહેજે.’ આથી તેણે ફરિયાદીને સાઉથ કોરીયા માટે ઝૂઝૂ આઈલેન્ડમાં જનરલ વર્ક માટેનું કામ કરવા મોકલી આપવાનું નક્કી થયું અને એક લાખ રૂપિયા રોકડા ચુકવ્યા હતા અને બે મહિનામાં ઝૂઝૂ આઈલેન્ડ મોકલવાની અને ભારતીય ચલણ મુજબ એક લાખ રૂપિયાનો માસિક પગાર ચુકવશે તેવી બાંહેધરી આપી હતી. પરંતુ ત્યારબાદ કોઈ કારણોસર કંપનીમાં જગ્યા નહીં હોવાથી એકાદ વર્ષ સુધી એવી વાત કરી હતી કે ‘યુરોપ મોકલી દઈશ’ પણ ત્યાં પણ મોકલાવ્યો ન હતો. આથી ફરિયાદીએ તેને પાસપોર્ટ અને એક લાખ રૂપિયાની રકમ પરત આપવા જણાવ્યું હતું પરંતુ પાસપોર્ટ કુરિયર મારફતે મોકલી દીધો હતો. રૂપિયા એક લાખ પરત આપ્યા ન હતા. કીર્તિમંદિર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક