• શનિવાર, 14 જૂન, 2025

‘તેઓ આપણી વચ્ચે નથી એ વાત મન નથી માનતું’

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને યાદ કરીને ભાવુક થયાં વડાપ્રધાન મોદી

અમદાવાદ ખાતે પરિવારજનોને સાંત્વના પાઠવી, શોક વ્યક્ત કર્યો

વડાપ્રધાનની સામે અંજલીબેન ધ્રુસકે ધ્રુસકે રડી પડયાં

(ફૂલછાબ ન્યુઝ)

અમદાવાદ, તા.13 : અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ પીએમ મોદી આજે ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે ત્યારે, પીએમ મોદી આજે સ્વર્ગસ્થ વિજયભાઇના પરિવારને મળ્યાં હતાં અને તેઓને સાંત્વના પાઠવી હતી. આ સમયે વિજયભાઈના પત્ની અંજલિબેન રૂપાણી પીએમ મોદીની સામે જ ધ્રુસકે ધ્રુસકે રડી પડયાં હતાં.

પીએમ મોદીએ વિજય રૂપાણી સાથે સંસ્મરણોને યાદ કરતા જણાવ્યું હતું કે, વિજયભાઈ સાથે વર્ષોથી મારો નાતો રહ્યો છે. તેઓ આપણી વચ્ચે નથી એ વાતે મન નથી માનતુ. તેમણે પડકારજનક સમયમાં ખભેખભો મિલાવીને કામ કર્યુ છે.તેઓ મહેનતુ અને સરળ, સાલસ સ્વભાવના હતાં. તેઓ પક્ષની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ હતાં.એક પાયાના કાર્યકર તરીકે જાહેર જીવનમાં કારકિર્દીની શરૂઆત કરી તેઓ સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવતા નિભાવતા ગુજરાતના મુખ્યમંત્રી બન્યાં હતાં. તેમની સાથેની મુલાકાતો અને ચર્ચાઓ હંમેશા યાદ રહેશે. તેઓ મુખ્યમંત્રી હતાં ત્યારે તેમની સાથે ઘનિષ્ઠતાથી કામ કરવાનું થયું. ગુજરાતની વિકાસયાત્રામાં તેમણે ઘણું કામ કર્યું છે. તેમણે દરેક વખતે અનોખો ચીલો ચાતર્યો હતો. 

વડાપ્રધાને આ પહેલા સોશિયલ મીડયા પર કહ્યું હતું કે, અમદાવાદમાં થયેલી હવાઈ દુર્ઘટનાથી આપણે બધા ખૂબ જ દુ:ખી છીએ. આટલી અચાનક અને હૃદયદ્રાવક રીતે આટલા બધા લોકોના જીવ ગયા તેનું વર્ણન શબ્દોમાં થાય તેમ નથી.બધા શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના.અમે તેમનું દુ:ખ સમજીએ છીએ અને એ પણ જાણીએ છીએ કે સ્વજનોના ગયા પછી રહેલો ખાલીપો આવનારા વર્ષો સુધી અનુભવાશે.ઓમ શાંતિ.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક