• શનિવાર, 14 જૂન, 2025

તબાહીના દૃશ્યો, મૃત્યુ શબ્દોમાં વર્ણવી શકાય નહીં : મોદી વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવતા વડાપ્રધાન

નવી દિલ્હી, તા. 13 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ જઈને વિમાન દુર્ઘટનાના સ્થળની મુલાકાત લીધી હતી ત્યારબાદ વડાપ્રધાન મોદી સિવિલ હોસ્પિટલે પહોંચીને દુર્ઘટનામાં ઘાયલ લોકોને મળ્યા હતા. પીએમએ અકસ્માતમાં જીવિત બચેલા એકમાત્ર વ્યક્તિ વિશ્વાસ કુમાર રમેશને પણ મળીને સ્વાસ્થ્ય અંગે જાણકારી લીધી હતી. બાદમાં પીએમએ એક પોસ્ટમાં કહ્યું હતું કે તબાહીના દૃશ્યો દુ:ખદ છે, મૃત્યુને શબ્દોમાં વર્ણવી શકાય નહીં.

પીએમ મોદી હોસ્પિટલના સી7 વોર્ડમાં ગયા હતા જ્યાં 25 ઈજાગ્રસ્તોનો ઈલાજ ચાલી રહ્યો છે. પીએમ મોદીએ બાદમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર એક પોસ્ટ કરી હતી. પીએમએ લખ્યું હતું કે, અમદાવાદમાં થયેલા વિમાન અકસ્માતથી તમામ લોકો સ્તબ્ધ છે. આટલા લોકોના અચાનક હૃદયદ્રાવક રીતે મૃત્યુને શબ્દોમાં વર્ણવી શકાય નહીં. તમામ શોક સંતપ્ત પરિવાર પ્રત્યે સંવેદના. તેઓ દુ:ખને સમજે છે અને જે ખાલીપો રહ્યો છે તે ઘણા વર્ષો સુધી અનુભવાશે. અન્ય એક પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે અમદાવાદમાં તબાહી અને દુ:ખના દૃશ્યો છે. અધિકારીઓ અને ટીમો સાથે મુલાકાત કરી છે. તેઓ અથાક પરિશ્રમ કરી રહ્યા છે.

અમદાવાદ સર્જાયેલી ભયાનક એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાના આજે બીજા દિવસે વડાપ્રધાન મોદી સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવવા સવારે અમદાવાદ આવી પહોચ્યાં હતાં તેઓએ દુર્ઘટનાસ્થળની પ્રત્યક્ષ મુલાકાત લીધી તેમજ આ સમગ્ર દુર્ઘટનામાં એક માત્ર જીવિત બચેલા દિવના વિશ્વાસ કુમાર સહિત અન્ય ઈજાગ્રસ્ત દર્દીઓને મળ્યાં હતાં.

વડાપ્રધાન મોદીએ દુર્ઘટનાના સ્થળે પગપાળા ચાલીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. વડાપ્રધાને ક્ષતિગ્રસ્ત થયેલી મેડિકલ હોસ્ટેલ અને મેસ બિલ્ડિગનું પણ નિરીક્ષણ કર્યું હતું. બાદમાં તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલે સારવાર મેળવી રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓની મુલાકાત લીધી હતી.

વડાપ્રધાને પ્લેન દુર્ઘટનામાં એક માત્ર જીવિત બચેલા ઈજાગ્રસ્ત એવા દીવના વિશ્વાસ કુમાર નામના યુવાનની પણ મુલાકાત લઈને તેમના સ્વાસ્થ્યની પૃચ્છા કરી હતી. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સ્થળોની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યા પછી અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ અને વરિષ્ઠ સચિવો સાથે ઉચ્ચસ્તરીય બેઠક પણ યોજી હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક