• શનિવાર, 14 જૂન, 2025

પ્લેન 35000 ફૂટ ઉંચાઇએ હોત તો ઘટના આટલી ભયાનક ન હોત !

ફ્લાઇટ AI-171 ટેકઓફ પછી તરત જ ક્રેશ થવા પાછળ મટીરીયલ ફેલ્યોર કારણ હોઇ શકે છે : કર્નલ પ્રકાશચંદ્ર વ્યાસ

મટીરીયલ ફેલ્યોરને કારણે ફયુઅલ કટ ઓફ થવાથી બન્ને એન્જિન ફેલ થયા હોવાની શકયતા હોઇ શકે

રાજકોટ તા.13:

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી લંડન જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ નં-171 ટેક ઓફ થઈ હતી. ટેક ઓફ થયા બાદ એક મીનીટમાં જ પ્લેન ક્રેશ થઈ ગયું હતું. જેમાં 290 લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે વિશ્વ આખાને હચમચાવતી પ્લેન-ક્રેશ દુર્ઘટનાના કારણો અંગે અનેક તર્કવિતર્ક થઈ રહ્યાં છે. દેશમાં અત્યારે આ ઘટના પાછળ વિમાનની પાંખ અને પ્લેટની પોઝીશન, લેન્ડીંગ ગીઅર, પાવર લોસ અને બન્ને એન્જીન એક સાથે બંધ થવાના કારણો હોવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે 6400 કલાક ઉડાનનો અનુભવ ધરાવતા પાયલટ અને આર્મી એવીએશન કોરની બે એવીએશન કમાન્ડ કરનાર કર્નલ પ્રકાશચંદ્ર વ્યાસ જણાવે છે કે ઉડાન ભરતાની સાથે જ પ્લેનક્રેશ થતા આટલી મોટી દુર્ઘટના સર્જાઇ છે જો પ્લેન 35000 ફૂટ ઉંચાઇએ હોત તો ઘટના આટલી ભયાનક બની ન હોત. ઘટના બનવા પાછળ મટીરીઅલ ફેલ્યોર હોઇ શકે છે.

વધુમાં પાયલટ વ્યાસએ જણાવ્યું કે  મટીરીયલ ફેલ્યોર હોઇ શકે છે કારણ કે પાઇલટે ટેકઓફ પછી તરત જ મેડે કોલ (ઇમર્જન્સી મેસેજ) મોકલ્યો, પરંતુ ત્યાર બાદ કોઈ જવાબ મળ્યો નહીં. આ સૂચવે છે કે કોઈ ગંભીર સમસ્યા હતી. મટીરીયલ ફેલ્યોરના કારણે પહેલી શકયતા ફયુઅલ સપ્લાય કટ ઓફ થઇ હોઇ શકે છે અને એના કારણે જ બન્ને એન્જીન એક સાથે બંધ થયા હોઇ શકે છે. આમા પાઇલટની ભૂલ હોવાની શકયતા નહીંવત છે. કારણ કે પાઇલટ અને કો-પાઇલટ બન્નેને ઉડાનનો અનુભવ પૂરતો હતો તેમજ ફલાઇટ હજુ થોડા કલાક પહેલા જ ઉડાન ભરીને આવી હતી. જેથી તેમાં બીજી કોઇ સમસ્યા હોવાની શકયતા નથી કારણ કે વિમાનની પૂરતી ચકાસણી કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ ઉડાન ભરવાની હોય છે તેમજ અમદાવાદથી લંડનની ફલાઇટ હોવાથી તેમાં ફયુઅલ પૂરતા પ્રમાણમાં ભર્યું હતું. અને હજુ તો વિમાને ઉડાન ભરી અને સીધુ જ ક્રેશ થયું હતું. જેના કારણે બ્લાસ્ટ થયો અને તપામાન વધી જતા વિમાનના લોખંડના પાર્ટ પણ ઓગળી ગયા છે.

જોકે આ અંગે એર ઈન્ડિયા કે સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન ન આવે ત્યાં સુધી વિમાન દુર્ઘટનાનું ચોક્કસ કારણ કહી શકાય નહીં. વધુ તપાસના આધારે જ કહી શકાય કે વિમાન ઉડાન ભરતી વખતે પાઇલટે ભૂલ કરી હતી કે કોઈ ટેક્નિકલ ખામીને કારણે વિમાન ક્રેશ થયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક