• શનિવાર, 14 જૂન, 2025

વધુ એક યુધ્ધ શરૂ

ઈરાનના પરમાણુ કેન્દ્રો ઉપર ઈઝરાયલનો હુમલો

ઈઝરાયલનાં ઓપરેશન રાઈઝીંગ લાયનમાં 6 શહેરમાં 100 સ્થળે 200 લડાકૂ વિમાનથી બોમ્બ-મિસાઈલમારો, અનેક લશ્કરી અધિકારી, બે પરમાણુ વૈજ્ઞાનિકના મોત : જવાબી કાર્યવાહીમાં ઈરાને 100 ડ્રોન દાગ્યા, ઈઝરાયલ-અમેરિકાને ગંભીર પરિણામની ધમકી

નતાંજ પરમાણુ કેન્દ્રને ભારે નુકસાન, રેડિએશન હજુ ફેલાયું નથી

તેલ અવીવ, તા.13 : વધુ એક યુદ્ધના મંડાણ થયા છે. જેની આશંકા હતી તે મુજબ ઈઝરાયલે  ઓપરેશન રાઈઝીંગ લાયન નામે ઈરાનના પરમાણુ અને લશ્કરી મથકોને નિશાન બનાવીને હુમલો કર્યો છે. એફ-3પ, એફ-16 સહિત ર00 જેટલા લડાકૂ વિમાનોથી ઈઝરાયલે ઈરાન પર 330થી વધુ બોમ્બ, મિસાઈલ ઝીંક્યા છે. જવાબી કાર્યવાહીમાં ઈરાને પણ ઈઝરાયલ ઉપર 100થી વધુ ડ્રોન દાગ્યા જે તમામ આંતરીને તોડી પાડયાનો ઈઝરાયલે દાવો કર્યો છે. ઈરાન ડઝન જેટલા પરમાણુ બોમ્બ બનાવવાની નજીક પહોંચી ગયાનો આરોપ લગાવાયો છે. ઈરાન ઉપર થયેલા હુમલામાં 104થી વધુ મૃત્યુ થયા છે અને 350 જેટલાને ઈજા પહોંચી છે. હવે ઈઝરાયલને વળતી કાર્યવાહીનો ડર હોવાથી દુનિયાભરમાં દુતાવાસો બંધ કરવાની તૈયારી શરૂ કરી છે. જેના હેઠળ બર્લીનમાં કચેરી પણ બંધ કરી દીધી છે.

ઈઝરાયલના બોમ્બમારામાં ઈરાનના નતાંજ પરમાણુ કેન્દ્રને ભારે નુકસાન થયાની અટકળો છે. જો કે અહીંથી કોઈ પ્રકારનું રેડિએશન હજુ ફેલાયું નથી. હુમલામાં ઈરાનના અનેક લશ્કરી અધિકારીઓ અને પરમાણુ વૈજ્ઞાનિકોના મૃત્યુ થયા છે. જેમાં આઈઆરજીસીના પ્રમુખ હોસેન સલામી અને સૈન્યના ચીફ ઓફ સ્ટાફ મોહમ્મદ બાઘેરી, બે મુખ્ય પરમાણુ વૈજ્ઞાનિક મોહમ્મદ મેહદી તેહરાંચી, ફરદૂન અબ્બાસી સામેલ છે. કેટલાક સૈન્ય કમાન્ડરો પણ માર્યા ગયા છે. ઈરાને ધમકી ઉચ્ચારી છે કે ઈઝરાયલ અને અમેરિકાએ આ હુમલાની ભારે કિંમત ચૂકવવી પડશે. અમેરિકા સાથે પરમાણુ ડીલ અંગે હવે કોઈ વાતચીત કરવામાં નહીં આવે.

શુક્રવારે સવારે ઈઝરાયલી ડિફેન્સ ફોર્સના પ્રવકતા એફી ડૈફ્રિને પત્રકાર પરિષદ યોજી ખુલાસો કર્યો કે ઈઝરાયલના ર00થી વધુ લડાકૂ વિમાનોએ ઈરાનમાં 6 મુખ્ય શહેર કરમાનશાહ, તબરીઝ, તેહરાન, અરાક, નતાંઝ, ઈસ્ફહાનને નિશાન બનાવી 100થી વધુ લક્ષ્યોને નિશાન બનાવી હુમલો કર્યો છે. છેલ્લી સ્થિતીએ 330થી વધુ ગાઈડેડ મ્યૂનિશન ઝીંકવામાં આવ્યા છે અને ઓપરેશન હજુય ચાલુ છે. ઈઝરાયલે ઓપરેશનનો વીડિયો પણ જાહેર કર્યો છે.

પરમાણુ બોમ્બ બનાવવાની અત્યંત નજીક પહોંચી ગયેલા ઈરાનના પરમાણુ મથકોને નિશાન બનાવીને ઈઝરાયલ ગમે ત્યારે ભીષણ હુમલો કરશે તેવી આશંકા ગઈકાલથી જ પ્રબળ બની હતી કારણ કે અમેરિકાએ તાબડતોબ પોતાના દૂતાવાસ ખાલી કરાવી નાંખ્યા હતા. અમેરિકા ઈરાન પર લશ્કરી કાર્યવાહીના પક્ષમાં પહેલા ન હતું પરંતુ ઈઝરાયલના હુમલા બાદ સૂર બદલાઈ ગયો છે. જે સાથે મધ્યપૂર્વમાં તણાવ ચરમ પર પહોંચી ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે નેતન્યાહૂને ફોન કરી લાંબી વાતચીતમાં હુમલો ન કરવા સાજાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ ઈરાન સાથે પરમાણુ ડીલ સંભવ ન બનતાં ઈઝરાયલના હુમલાને વખાણ્યો છે. તેમ છતાં અમેરિકા આ હુમલામાં સામેલ નથી અને ઈઝરાયલ દ્વારા એક તરફી કાર્યવાહી હોવાની સ્પષ્ટતા પણ કરી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક