• શનિવાર, 14 જૂન, 2025

મોસાદની રણનીતિએ ઈરાનને ચોંકાવ્યું

ઈરાનના પરમાણુ સ્થળ, સૈન્ય છાવણીઓ ઉપર પ્રહાર પહેલા મોસાદે કર્યું હતું હોમવર્ક

નવી દિલ્હી, તા. 13 : ઈઝરાયલે શુક્રવારે સવારે ઈરાન ઉપર એકસાથે ઘણા હવાઈ હુમલા કર્યા હતા. બન્ને દેશ વચ્ચે ઘણા સમયથી ખેંચતાણ ચાલી રહી છે. ઈઝરાયલને એવી ગુપ્ત માહિતીમળી હતી જેમાં ઈરાન પરમાણુ બોમ્બ બનાવી રહ્યું છે તેવો સંકેત મળ્યો હતો. ઘણી ચેતવણીઓ બાદ અંતે ઈઝરાયલે ઈરાનની પરમાણુ સાઈટ્સ ઉપર હુમલા કર્યા છે. આ હુમલા એટલા સટીક હતા કે ઈરાન સ્થિત પરમાણુ પ્લાન્ટ, વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ અને પરમાણુ વૈજ્ઞાનિકોના સ્થળો તબાહ થયા છે. ઈઝરાયલના આઈડીએફએ સ્પષ્ટ કરી દીધું છે કે તેની ગુપ્તચર એજન્સી મોસાદને મળેલી સટીક જાણકારી બાદ હુમલા કર્યા છે અને એવી જગ્યાએ જ પ્રહાર કરવામાં આવ્યો છે જ્યાં ઈરાનનો પરમાણુ કાર્યક્રમ અને ઈઝરાયલ વિરોધી સૈન્ય ગતિવિધિ ચાલી રહી હતી.

મોસાદ ઈઝરાયલની ગુપ્તચર એજન્સી છે અને દુનિયાની સૌથી ખતરનાક અને તેજ એજન્સી માનવામાં આવે છે. મોસાદની કામ કરવાની પદ્ધતિ એટલી સટીક હો છે કે દુશ્મન નામ માત્રથી ધ્રુજી ઉઠે છે. હમાસના છુપાયેલા કમાન્ડોને શોધીને ખતમ કરવાના હોય કે ઈરાનના અતિસુરક્ષિત પરમાણુ કાર્યક્રમને નિશાન બનાવવાનાહોય, દરેક કામ મોસાદ એકદમ સફાઈથી અંજામ સુધી પહોંચાડે છે.

આઈડીએફએ ઓપરેશન રાઈઝિંગ લાયન હેઠળ ઈરાનના નતાંજ પરમાણુ સ્થળે હુમલો કર્યો તેની પહેલા તમામ હોમવર્ક મોસાદનું હતું. કારણ કે ઈરાન ઉપર હુમલા બાદ ઈઝરાયલે મોસાદની કામગીરીની પુષ્ટી કરી છે. યરુશલમ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર ઈઝરાયલના સૈન્ય અધિકારીઓએ કહ્યું હતું કે ગુપ્તચર એજન્સીને જાણકારી મળી હતી કે ઈરાનના પરમાણુ કાર્યક્રમમાં તેજી આવી છે. ઈરાન પરમાણુ હથિયાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. મોસાદે આ જાણકારી ઉપલબ્ધ કરાવી હતી. જેમાં પુરાવા પણ હતા. જાણકારી અનુસાર એટલી હદે યુરેનિયમ ઉત્પાદન થવાનું હતું જેનાથી અમુક દિવસમાં જ 15 પરમાણુ હથિયાર બની શકે તેમ હતા.

નેતન્યાહુએ વડાપ્રધાન મોદીને કર્યો ફોન

નવી દિલ્હી, તા. 13 : ઈઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહુએ ઈરાન ઉપર હુમલા માટે આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવાના કુટનીતિક પ્રયાસ શરૂ કરી દીધા છે. જેના હેઠળ નેતન્યાહુએ વડાપ્રધાન મોદી સહિત ઘણા વૈશ્વિક નેતાઓ સાથે વાતચીત કરી હતી. ઈઝરાયલી પીએમઓ તરફથી આ જાણકારી આપવામાં આવી હતી. નેતન્યાહુએ મોદીને ફોન કરીને પશ્ચિમ એશિયામાં બની રહેલા ઘટનાક્રમની જાણકારી આપી હતી. મોદીએ શાંતિ અને સ્થિરતા બહાલ કરવાની જરૂરિયાત ઉપર ભાર મુક્યો હતે. મોદીએ એક્સ ઉપર પોસ્ટમાં કહ્યું હતું કે ઈઝરાયલના પીએમ નેતન્યાહુનો ફોન આવ્યો હતો અને તેમણે સ્થિતિની જાણકારી આપી હતી. આ દરમિયાન પોતે ભારતની ચિંતાઓ બતાવી હતી અને ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા બહાલ થાય તેની જરૂરીયાત ઉપર ભાર મુક્યો હતો.

ઈરાનનું એરસ્પેસ બંધ :  હવાઈયાત્રાને અસર

            અમુક ફલાઈટસને પરત બોલાવી, અમુકના રૂટ ડાયવર્ટ

નવી દિલ્હી, તા. 13 : ઈસ્લામિક દેશ ઈરાન ઉપર ઈઝરાયલે મોટો હુમલો કર્યો છે. શુક્રવારની સવાર ઈરાનમાં ઈઝરાયલના હુમલાથી શરૂ થઈ હતી અને ઘણા પરમાણુ ઠેકાણા ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. આ હુમલાની યુદ્ધની સ્થિતિ વણસવાની સંભાવના છે અને સુરક્ષાના હિસાબે ઈરાને પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું છે. જેની સીધી અસર ભારત ઉપર થઈ છે. અમેરિકા, યુરોપ સહિત ઘણા દેશો માટે જતી ભારતીય ઉડાનો ઉપર અસર પડી છે. એર ઈન્ડિયાએ પોતાની ઘણી ફલાઈટ ડાયવર્ટ કરી છે અને અમુકને પરત બોલાવી લેવામાં આવી હતી.

એર ઈન્ડિયાએ એક્સ ઉપર જાણકારી આપી હતી કે મોટાભાગની એવી ફલાઈટ્સને પરત બોલાવવામાં આવી છે જે ભારતથી રવાના થઈ હતી. જ્યારે ભારત આવી રહેલી ફલાઈટને ડાયવર્ટ કરવામાં આવી છે. જેમ કે લંડનથી મુંબઈ આવી રહેલી ફાલઈટને હવે વિએનાના રસ્તે આવવું પડશે. ન્યુયોર્કથી દિલ્હી આવતી ફલાઈટ શારજાહના રસ્તે આવશે. આવી જ રીતે ન્યુયોર્કથી મુંબઈ જતી ફલાઈટ હવે જેદ્દાહના રસ્તે આવશે. સવારે મુંબઈથી લંડન રવાના થયેલી ફલાઈટને પણ પરત બોલાવી લેવામાં આવી હતી. તેમજ દિલ્હીથી વોશિંગ્ટન માટે ઉડાન ભરનારી ફલાઈટ પરત દિલ્હી પહોંચી હતી.

દરેક સંભવ મદદ માટે તૈયાર : ઈઝરાયલ-ઈરાન યુદ્ધ મુદ્દે ભારતનું નિવેદન

            વિદેશ મંત્રાલયે ભારતીયોને સુરક્ષિત રહેવા અને સ્થાનિક પરામર્શ માનવા અપીલ કરી

નવી દિલ્હી, તા. 13 : ભારતે કહ્યું છે કે ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના ઘટનાક્રમથી ખુબ જ ચિંતિત છે અને સ્થિતિ ઉપર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. ભારતે બન્ને દેશોને કોઈપણ પ્રકારના તણાવ વધારતા કદમથી બચવાનો આગ્રહ કર્યો છે. વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું છે કે ક્ષેત્રમાં તમામ ભારતીયને સાવધાની રાખવા, સુરક્ષિત રહેવા અને સ્થાનિક સુરક્ષા પરામર્શનું પાલન કરવા

કહ્યું છે.

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે તણાવની સ્થિતિને ધ્યાને લઈને વિદેશ મંત્રાલય દ્વારા નિવેદન જારી કરવામાં આવ્યું છે. અહેવાલ અનુસાર ઈઝરાયલે ઈરાનના પરમાણુ પ્લાન્ટોને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. આતંરરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી દ્વારા ઈઝરાયલના હુમલાની પુષ્ટી કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના ઘટનાક્રમથી ચિંતિત છે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક